ઓડિશામાં આજે એકજ દિવસમાં બે ગમખ્વાર અકસ્માત સર્જાયા છે. જેમા કુલ 11 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 30 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઓડિશામાં એકજ દિવસમાં 2 ગમખ્વાર અકસ્માત
ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા 6ના મોત
કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 5ના મોત
ઓડિશામાં આજે એક નહી પરંતું બે ગમખ્વાર અકસ્માત સર્જાયા જેમા કુલ 11 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. આ અકસ્માતમાં 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. પહેલો અકસ્માત બાલાસોરમા થયો જ્યા કોલસો ભરેલી એક ટ્રકે પાછળથી બસને ટક્કર મારી હતી. જેમા 6 મુસાફરોની મોત થઈ અને 25 મુસાફરો ઘાયલ થયા હતા.
અકસ્માતને કારણે બસ અને ટ્રક ખીણમાં ખાબકી
અન્ય એક અકસ્માતમાં સુવર્ણપુર જિલ્લામાં એક કાર સાથે ટ્રક અથડાઈ જેના કારણે 5 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસ અને ટ્રકનો અકસ્માત થયો તે સમયે બસ ઉભી હતી અને મુસાફરો ચઢી રહ્યા હતા તે સમયે ટ્રક ધડાકાભેર બસ સાથે અથડાઈ હતી. જેના કારણે બસ અને અને ટ્રક બંન્ને ખીણમાં ખાબકી હતી.
3 લોકોના ઘટના સ્થળેજ મોત
આ અકસ્માતમાં ઘટના સ્થળેજ 3 મુસાફરોના મોત થયા હતા. જ્યારે અન્ય 3 મુસાફરોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. બસના માલિકના કહેવા પ્રમાણે બીજા 6 લોકોની હાલત પણ ઘણી ગંભીર છે. સાથેજ ટ્રક ચાલકની હાલત પણ ગંભીર છે.
મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યુ
સમગ્ર મામલે મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું સાથેજ તેમણે મૃતકોના પરિવાજનોને 2-2 લાખ રૂપિયાની સાહય આપવાની જાહેરાત પણ કરી અને તેમણે હોસ્પિટલને પણ આદેશ આપ્યા છે કે ઈજાગ્રસ્ત મુસાફરોને સારી સુવિધાઓ આપવામાં આવે.
પિતા પુત્રી સહિત 5 લોકોના મોત
બીજો અકસ્માત સોનપુરમાં થયો હતો જ્યા મહાનદીના પુલ પર કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં પિતા પુત્રી સહિત 5 લોકોના મોત થયા જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસના કહેવા પ્રમાણે કારમાં સવાર મુસાફરો લગ્ન પ્રસંગેથી પરત આવી રહ્યા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ગેસ કટરની મદદથી કારમાં ફસાયેલા અન્ય પાંચ લોકોને બહાર કાઢ્યા અને તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.