ભારતીય કોર્ટે 2017માં 109 લોકોને મૃત્યુદંડ આપ્યો હતો પરંતુ હજુ સુધી કોઈ પણ સજાનો અમલ થયો નથી. એક માનવાધિકાર સંગઠનના જણાવવા મુજબ આ અગાઉ 2016માં પણ ભારતીય કોર્ટે 136 લોકોને ફાંસીની સજા આપી હતી.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા જારી કરાયેલા 'ડેથ સેન્ટેન્સિસ એન્ડ એક્ઝિકયૂશન 2017' અનુસાર હત્યા કેસમાં 51 લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતી. જયારે 2016માં હત્યા કેસમાં 81 લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.
1993ના મુંબઇ વિસ્ફોટમાં સંડોવણી બદલ ભારતે છેલ્લી ફાંસીની સજા 2015માં યાકુબ મેમણને આપી હતી. આ હુમલામાં 257 લોકોનાં મોત થયા હતા. મળતી માહિતી મુજબ 2017માં પણ ફાંસીની સજા આપવામાં ચીન મોખરે રહ્યું હતું ત્યાં હજારો લોકોને ફાંસી અપાઇ હોવાની શંકા છે પરંતુ ચોક્કસ આંકડો જાણી શકાયો નથી કારણ કે ચીન આ બાબતને પોતાની માહિતી ગુપ્ત રાખે છે.
ચીન બાદ ઇરાનમાં 507 લોકોને ફાંસી આપવામાં આવી હતી અને સઉદી અરેબિયામાં 146 લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. તે ઉપરાંત પાકિસ્તાનમાં પણ 60થી વધુ લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. આ બાબતમાં યુરોપ બધાથી પાછળ રહ્યું હતું ત્યાં માત્ર બેલારુસમાં બે લોકોને જ મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.