છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ત્રાહી પોકારાવી દીધુ છે. એક અઠવાડિયામાં ડેન્ગીના 104 અને મેલેરિયાના 164 કેસ સામે આવ્યા છે.
અમદાવાદ શહેરમાં રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ છે. 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીમાં મેલેરિયાના 164 કેસ નોંધાયા છે જ્યારે ડેન્ગીના 104 કેસ નોંધાયા હતા. અને ચીકનગુનીયાના 2 કેસ નોંધાયા છે. જ્યારે પાણીજન્ય રોગચાળામાં ઝાડા ઉલટીના 113, કમળાના 74, ટાઈફોઈડના 168 કેસ નોંધાયા છે.
ઉપર જણાવેલા આકંડા સરકારી ચોપડે નોંધાયેલા છે જ્યારે એ સિવાયના ઘણા કેસ હશે. છેલ્લા અઠવાડિયામાં રોગચાળાએ માઝા મૂકી છે. તેમાંય ડેન્ગીએ અમદાવાદને વધુને વધુ ભીંસમાં લીધુ છે. દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.
મનપાના હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી 1લી જાન્યુઆરીથી 7 સપ્ટેમ્બર 2019 સુધીમાં 29,707 લોહીના નમુનાની તપાસ કરી છે. અને 367 સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ અંગે અઠવાડિયામાં જ હેલ્થ વિભાગ 14,248 ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરી ચુક્યુ છે. તેમ છતાં રોગચાળો રોકાવાનું નામ નથી લેતો. વળી વરસાદ પણ વિરમી વિરમીને વરસે છે જેથી રોગચાળો ધીરે ધીરે વધી રહ્યો છે.