મોદી સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. હવે રૂ. ૧,૦૦૦ની નોટ ક્યારેય સત્તાવાર ચલણમાં આવશે નહીં. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂ. ૧,૦૦૦ની નોટ ઇશ્યૂ કરવા માટે મંજૂરી આપતા ૧૯૯૯ના કાયદાને રદ કરી નાખ્યો છે.
સંસદે ગત સપ્તાહે આ કાયદા સહિત સાવ જૂનાપુરાણા અને નિરર્થક બની ગયેલા ૫૮ કાયદા રદ કરવા મંજૂરી આપી દીધી હતી, તેમાં રૂ. ૧,૦૦૦ની નોટ ઈશ્યૂ કરવાની મંજૂરી આપતા હાયર વેલ્યૂ કેટેગરી બેન્ક નોટ (ડીમોનેટાઇઝેશન) અમેન્ડમેન્ટ બિલ ૧૯૯૮નો પણ સમાવેશ થતો હતો. આમ, હવે રૂ. ૧,૦૦૦ની નવી નોટ ક્યારેય ચલણમાં આવશે નહીં.
મોદી સરકારે નવેમ્બર-૨૦૧૬માં નોટબંધીની જાહેરાત કરતાં મહાત્મા ગાંધી સિરીઝને રૂ. ૫૦૦ અને રૂ.૧,૦૦૦ની નોટો સત્તાવાર ચલણમાંથી હટાવી દીધી હતી. આ સાથે જ મોદી સરકારે રૂ. ૫૦૦ અને રૂ. ૨,૦૦૦ની નવી નોટ ઇશ્યૂ કરવાની પણ જાહેરાત કરી હતી ત્યારથી રૂ. ૧,૦૦૦ની નોટ કાયદેસર ચલણમાં રહી નથી.
કેટલાંક સુધારા વિધેયક ૨૦૧૯ના માધ્યમથી હવે ૫૮ જેટલા અપ્રસ્તુત જૂના કાયદાઓને સમાપ્ત કરવામાં આવ્યા છે તેમાં કેટલાક કાયદા તો ૧૫૦ વર્ષથી પણ વધુ જૂના છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને રૂ. ૧,૦૦૦ની નોટ ઇશ્યૂ કરવાની મંજૂરી આપતો ૧૯૯૯નો કાયદો પણ અન્ય જૂના કાયદાઓ સાથે રદબાતલ કરી દેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બર, ૨૦૧૬ની રાત્રીએ ટેલિવિઝન પર એક સંદેશ આપીને એ દિવસે મધરાતથી જ રૂ.૫૦૦ અને રૂ.૧,૦૦૦ની ઊંચા મૂલ્યવાળી નોટો કાયદેસર ચલણમાંથી સત્તાવાર રીતે રદ કરવાની જાહેરાત કરી હતી અને તેના ઉગ્ર પ્રત્યાઘાત પણ પડ્યા હતા. આમ, હવે રૂ. ૧,૦૦૦ની નોટ ફરીથી ચલણમાં આવશે નહીં.