અમદાવાદનાં અમરાઈવાડીની બંગલાવાળી ચાલીમાં 100 વર્ષ જૂનું 3 માળનું મકાન ધરાશાયી થતાં 4 લોકોના મોત થયાં છે. જ્યારે તેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. નવાઈની વાતો તો એ છે કે જે 3 માળના 100 વર્ષ જૂના બંગલા પરથી વિસ્તારનું નામ ‘બંગલાવાળી ચાલી’ પડ્યું હતું તે જ બંગલો ધરાશાયી થયો.
100 વર્ષ પહેલાં અમરાઈવાડી (Ahmedabad) નાં કાપડ મિલના માલિકે બનાવેલો આ બંગલો એક સમયની શાન હતો. મિલ માલિક વર્ષો સુધી આ ચાલીમાં રહ્યા આથી ચાલીનું નામ બંગલાવાળી ચાલી (Banglawali chali) અપાયું હતું. જો કે અમુક વર્ષો બાદ આ બંગલો મિલ માલિકે સિક્યુરીટી ગાર્ડને ગિફ્ટમાં આપ્યો હતો. હાલમાં આ સિક્યુરીટી ગાર્ડ પરિવાર સાથે આ બંગલામાં રહેતો હતો.
આ ચાલીમાં સૌથી મોટું મકાન માત્ર આ એક જ હતું. જો કે આ બંગલા સાથે નજીકના કેટલાય મકાનો પણ હજુ જર્જરિત છે. કોઈ પણ સમય અન્ય નજીકના મકાનો પણ ધરાશાયી થાય તો નવાઈ નહીં.
જો કે ઉલ્લેખનીય છે કે હાલમાં આ દુર્ઘટનામાં 5 લોકોને ફાયર વિભાગની ટીમે બચાવી લીધાં છે. ફાયરબ્રિગેડની સાત ટીમો દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઇ છે. આ મકાન ધરાશાયી થયા બાદ અમદાવાદ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. વધુમાં તમને જણાવી દઇએ કે આ મકાન 100 વર્ષ જૂનું હોવા છતાં પણ કોર્પોરેશન દ્વારા મકાનમાલિકને નોટિસ પાઠવવામાં આવી ન હતી.