વડોદરા પાલિકાએ તળાવનાં બ્યુટીફિકેશન પાછળ 100 કરોડથી વધુનો ખર્ચો કર્યો છે. ત્યારે તળાવનું બ્યુટીફિકેશન થયા બાદ પણ ડ્રેનેજનું પાણી છોડવામાં આવી રહ્યું છે.
વડોદરા પાલિકાએ તળાવના બ્યુટીફિકેશન પાછળ 100 કરોડથી વધુનો કર્યો ખર્ચ
પાલિકામાં માંગેલી RTIમાં થયો ચોકાવનારો ખુલાસો
પાલિકાએ સૌથી વધુ 37 કરોડ 60 લાખ રૂપિયાનો ખર્ચ સુરસાગર તળાવ પાછળ કર્યો
વડોદરા પાલિકાએ તળાવનાં બ્યુટીફિકેશન પાછળ 100 કરોડથી વધુનો ખર્ચો કર્યો છે. પાલિકા પાસે માંગેલી RTIમાં ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે. જેમાં પાલિકાએ સૌથી વધુ 37 કરોડ 60 લાખ રૂપિયાનો ખર્ચ સુરસાગર તળાવ પાછળ કર્યો છે. છાણી તળાવ પાછળ 12 કરોડ 22 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. પાલિકાએ વડોદરા શહેરનાં 26 તળાવનું કરોડોનાં ખર્ચે બ્યુટીફિકેશન કર્યું છે. છતાં તળાવમાં અત્યંત ગંદકી જોવા મળી રહી છે. તળાવનું બ્યુટીફિકેશન થયા બાદ પણ ડ્રેનેજનું પાણી છોડવામાં આવે છે. વિપક્ષે તળાવનાં કામમાં માત્ર ભ્રષ્ટ્રાચાર અને કૌભાંડ થયા હોવાનો આક્ષેપ કર્યો છે. આ બાબતે મેયર નિલેશ રાઠોડે કહ્યું કે જે તળાવની હાલત બદતર હશે એની માહિતી મેળવશું. તમામ તળાવો ખરાબ નથી. કેટલાક તળાવમાં સમસ્યા હશે.
26 તળાવો વડોદરા મહાનગર પાલિકાએ એક અબજથી વધારેનો ખર્ચો કર્યો: અતુલ ગામેચી
આ બાબતે સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર પાલિકામાં માહિતી અધિકાર નિયમ 2005 હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે વડોદરા શહેરમાં કેટલા તળાવો છે. કેટલા તળાવો બ્યુટીફીકેશન કરવામાં આવ્યા છે. અને કેટલો ખર્ચો કર્યો. ત્યારે ચોંકાવનારો એક ઘટસ્ફોટ થયો છે. જેમાં વડોદરા શહેરમાં 27 તળાવો બ્યુટીફીકેશનમાં લીધા છે. જેમાં 26 તળાવો વડોદરા મહાનગર પાલિકાએ એક અબજથી વધારેનો ખર્ચો કર્યો છે. એક તળાવ પીપીપી ધોરણે આપ્યું છે. જો તળાવનાં બ્યુટીફિકેશન વડોદરા મહાનગરપાલિકાએ કર્યો હોય તો આ તળાવમાં ગટર ડ્રેનેજનાં પાણી કેમ છોડે છે તે તપાસનો વિષય છે.
જળકુંભીઓ, વેલાઓ કાઢવા પાછળ પણ અધધ નાણાંનો ખર્ચ થયોઃ અતુલ ગામેચી
બીજી બાજુ આ તમામ તળાવોની અંદર જળકુંભી, વેલાઓ વારંવાર આવી જાય છે. તો ક્યાં કારણથી આવી જાય છે. તે પણ એક તપાસનો વિષય છે. ત્યારે જળકુંભીઓ, વેલાઓ કાઢવા પાછળ પણ અધધ નાણાંનો ખર્ચ થઈ ગયો છે. તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સાથે સાથે આ તમામ તળાવની જાળવણી, નિભાવણી વડોદરા મહાનગર પાલિકાનાં ગાર્ડન વિભાગની છે. ત્યાં પણ કોઈ જવાબદાર અધિકારી ન હોવાનાં કારણે તમામ તળાવોની હાલત દયનીય બની છે.