જન્માષ્ટમીનો તહેવાર અને શનિ-રવિની રજાઓ નજીકમાં છે ત્યારે સ્વાભાવિક રીતે દરેક લોકો પહેલાંથી જ આ રજાઓનું પ્લાનિંગ કરી લેતા હોય છે. સાથે જ ફરવાની સુવિધા રહે તે માટે અગાઉથી બુકિંગ પણ કરાવી દે છે. યાત્રીઓનો ધસારો સતત વધી જવાના કારણે તહેવાર ટાણે કુલ 10 ટ્રેન રદ કરી દેવામાં આવી છે.
મિની વેકેશન સમાન જન્માષ્ટમીની રજાઓ દરમિયાન હરવા-ફરવાના શોખીન લોકોની આ વખતની સાતમ-આઠમ રેલવે તંત્રએ બગાડી નાખી છે. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ૧ર,૦૦૦ રેલ પ્રવાસીઓએ તહેવારોમાં ફરવા જવાનાં કરેલાં આયોજન અસ્તવ્યસ્ત થઇ ગયા છે. જે ટ્રેનોમાં સૌથી વધુ વેઈટિંગની પરિસ્થિતિ રહેતી હતી તેવી ૧૦ જેટલી ટ્રેન ચાલુ સપ્તાહમાં જ રદ કરી દેવામાં આવી છે. જેના કારણે બુકિંગ કરાવ્યું હોવા છતાં અનેક મુસાફરોને છેલ્લી ઘડીએ પ્રવાસ નહીં કરવાની અને સાથે જ રિફંડ લેવાની ફરજ પડી છે.
લાંબા રૂટની ૧૦ ટ્રેન ચાલુ સપ્તાહે કેન્સલ કરી દેવાતાં તહેવાર ટાણે જ મુસાફરોની યાત્રા 'અ'મંગલમય બની છે. ગુજરાત સિવાયના દિલ્હી સહિતના અન્ય રાજ્યો અને હાલમાં ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. રેલવે ટ્રેકમાં ધોવાણ થયું છે. આવા અનેક કારણોસર અનેક ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. જેના કારણે બહારનાં રાજ્યોમાં ફરવા જવા ઇચ્છતા પ્રવાસીઓનો ધસારો ગુજરાતમાં વધી જશે એમ માનવામાં આવી રહ્યું છે. કેટલીક ટ્રેનના તો રૂટ પણ બદલી દેવામાં આવ્યા છે. આવા અનેક કારણોના કારણે પ્રવાસીઓનો મૂડ બગડ્યો છે.