રાજસ્થાનના કોટાની જે.કે. લોન સરકારી હોસ્પિટલમાં એક મહિનામાં જ 77 નવજાત બાળકોના મોત નિપજ્યા છે. આ તમામ શિશુઓ એક વર્ષ સુધીની ઉંમર ધરાવતા હતા. જ્યારે આ મામલો દિલ્હી પહોંચ્યો ત્યારે મુખ્ય મંત્રી અશોક ગેહલોતે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા.
કોટા રાજસ્થાનમાં કાળજું કંપાવી ઘટના
48 કલાકમાં 10 નવજાતના મોત
છેલ્લા 6 વર્ષમાં 6600 બાળકોએ ગુમાવ્યા જીવ
આઈ.એ.એસ. અધિકારી વૈભવ ગાલરીયાના અધ્યક્ષ પદે બનેલી તપાસ સમિતિ શુક્રવારે સાંજે કોટા પહોંચી હતી. કમિટી દ્વારા હોસ્પિટલના અધિક્ષક એચ.એલ. મીનાની પૂછપરછ કરવામાં આવી હતી.
48 કલાકની અંદર 10 બાળકોના મોત
નોંધનીય છે કે, આ અઠવાડિયે હોસ્પિટલમાં 10 નવજાત શિશુઓ 48 કલાકની અંદર મૃત્યુ પામ્યા હતા. આ મામલાને કુદરતી અને સામાન્ય હોવાનું કહીને દબાવવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર એક્શનમાં આવી
જોકે, આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી. મૃત્યુ પાછળનું મુખ્ય કારણ ચેપને માનવામાં આવે છે. આ ઉપરાંત, હોસ્પિટલનાં સાધનો પણ નબળા હોવાનું જાણવા મળ્યું છે.
ઓમ બિરલાએ ચિંતા વ્યક્ત કરી
આ મામલે કોટાના સાંસદ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ શુક્રવારે કહ્યું હતું કે કોટાની એક બાળકની હોસ્પિટલમાં 48 કલાકમાં 10 નવજાત શિશુઓના અકાળ મૃત્યુ ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે રાજસ્થાન સરકારે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.
છેલ્લા 6 વર્ષમાં 6600 બાળકોએ તોડ્યો છે દમ
હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 23 ડિસેમ્બરે છ બાળકોનાં મોત થયાં હતાં, જ્યારે 24 ડિસેમ્બરે ચાર બાળકોનાં મોત નીપજ્યાં હતાં. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, છેલ્લા 6 વર્ષમાં આ હોસ્પિટલમાં 6600 થી વધુ નવજાત લોકોનાં મોત નીપજ્યાં છે. 2019 માં અત્યાર સુધીમાં 940 બાળકોનાં મોત નીપજ્યાં છે.