ઉત્તરપ્રદેશ કોંગ્રેસના 10 વરિષ્ઠ નેતાઓને અનુશાસનહીનતાના આરોપમાં રવિવારે પાર્ટીથી 6 વર્ષ માટે કાઢી મુકવામાં આવ્યા છે. કોંગ્રેસની અનુશાસન સમિતિએ પૂર્વ સાંસદ સંતોષ સિંહ, પૂર્વ ગૃહ મંત્રી રામકૃષ્ણ દ્વિવેદી, વિધાન પરિષદના પૂર્વ સભ્ય સિરાજ મેંહદી, પૂર્વ મંત્રી સત્યદેવ ત્રિપાઠી, પૂર્વ ધારાસભ્ય ભૂધર નારાયણ મિશ્ર, વિનોદ ચૌધરી અને નેક ચંદ્ર પાન્ડેય તથા યુવા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સ્વયં પ્રકાશ ગોસ્વામી અને વરિષ્ઠ નેતા સંજીવ સિંહને બહાર કરી દીધા છે.
કોંગ્રેસના 10 વરિષ્ઠ નેતાઓને અનુશાસનહીનતાના આરોપમાં પાર્ટીથી કાઢી મુકવામાં આવ્યા
નેતાઓ પર બેઠક કરી વિરોધ દર્શાવવા, નિવેદનબાજીથી પાર્ટીની છબિ ખરાબ કરવાનો આરોપ
કોંગ્રેસે ગુરુવારે પાર્ટીના કુલ 11 નેતાઓને કારણ બતાવો નોટિસ ફટકારી 24 કલાકમાં જવાબ માંગ્યો
આ તમામ નેતાઓ પર ગત કેટલાક સમયથી ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીથી સંબંધિત પાર્ટી આલાકમાનના નિર્ણયોને લઇને અનાવશ્યક રૂપે સાર્વજનિક રીતે બેઠક કરી વિરોધ દર્શાવવા અને મીડિયામાં નિવેદનબાજીથી પાર્ટીની છબિ ખરાબ કરવાનો આરોપ હતો.
કોંગ્રેસની અનુશાસન સમિતિના સભ્ય ઇમરાન મસૂદે જણાવ્યું કે આ આરોપો પર ગત ગુરુવારે પાર્ટીના કુલ 11 નેતાઓને કારણ બતાવો નોટિસ ફટકારી 24 કલાકમાં જવાબ માંગ્યો હતો. તેમાંથી પૂર્વ ધારાસભ્ય હાફિજ મોહમ્મદ ઉમરને છોડીને કોઇએ નોટિસનો જવાબ આપ્યો નહોતો. કેટલાક નેતાઓએ તો નોટિસનો જવાબ આપવાથી ઇનકાર પણ કરી દીધો હતો.
આ મામલે સત્યદેવ ત્રિપાઠીએ કહ્યું કે, મેં કોઇ અનુશાસનહીનતા નથી કરી. હું નિયમ જાણું છું કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સભ્ય હોવાના કારણે મને પ્રદેશ કોંગ્રેસથી નોટિસ આપવામાં આવી શકે નહીં. નોંધનીય છે કે, હાલમાં જ પ્રદેશ કોંગ્રેસની નવી ટીમ ગઠિત થયા બાદથી જ પાર્ટીની અંદર સવાલ ઉઠી રહ્યા હતા. ત્યારથી જ અસંતોષ ઉભો થવાની શરૂઆત પણ થઇ હતી.