મોરબી જિલ્લાના હસનપર ગામ નજીક ટ્રકની ઠોકરે ચડેલા 10 થી વધુ ઘેટાના કરૂણ મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
મોરબી વાંકાનેર હાઇવે પર અકસ્માત
હસનપરના પુલ પાસે પશુઓને ટ્રકચાકલે અડફેટે લીધા
10 થી 15 જેટલા ઘેટાઓના મૃત્યુ
મોરબી વાંકાનેર હાઇવે પર હસનપર ગામના પુલ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમા હસનપરના પુલ પાસે કાળમુખા તોતિંગટ્રકે કચડી નાખતા 10 થી 15 જેટલા ઘેટાઓના મોત નિપજ્યાં હતા. ઘટનાને લઇને માલધારી પર આભ ફાટી પડ્યું હતું. વધુમાં ટ્રકની અડફેટે એક કાર પણ આવી ગઇ હતી. જેમાં કારમાં નુકસાન થયું હતું. બીજી તરફ આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ટ્રકની ઠોકરે કાર ડિવાઇડર પર ચડી ગઇ
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ઘેટાનું વાંઢ લઇને માલધારી ગામ તરફ આવી રહ્યા હતા. તે વેળાએ હસનપર ગામના પુલ પાસે પહોંચતા બેકાબુ ટ્રકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘેટાઑના મોતથી જીવદયાપ્રેમીઑમાં રોષની લાગણી ફેલાઈ છે. વધુમાં ટ્રકની ઠોકરે કાર ડિવાઇડર પર ચડી ગઇ હતી. આ ઘટનાને લઇને લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.
અકસ્માતને કારણે હાઈવે પર સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં ક્રેન મરફતે કારને સલામત સ્થળે ખસેડવા ઉપરાંત ટ્રક ચાલક સામે ગુન્હો નોંધવા સહીતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ગત માર્ચ માસમાં આવી જ ઘટના સામે આવી હતી જેમાં પણ બેફામ સ્પીડે આવતા ટ્રકે કચડી નાખતા અનેક ઘેટાઑના મોત નિપજ્યાં હતા.