મણીનગર જોગણી માતાના મંદિરના પગથિયા પર 10 દિવસની નવજાત બાળકીને મંદિરના ઓટલા પર કોઈ છોડીને જતું રહયું
નવજાત બાળકીને મંદિરના પગથિયા પર ત્યજી દેવાનો કિસ્સો
ફૂટપાથ પર રહેતા લોકોએ બાળકીનો રડવાનો અવાજ સાંભળ્યો
પોલીસને સીસીટીવીમાં રિક્ષાના ફૂટેજ મળી આવ્યા
અમદાવાદના મણીનગરમાં નવજાત બાળકીને મંદિરના પગથિયા પર ત્યજી દેવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસે અજાણી મહિલા અને પુરુષ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ રિક્ષા કેદ થતા પોલીસે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે, અમદાવાદમાં અત્યાર સુધીમાં પાંચથી વધુ બાળકના નવજાત ભ્રુણ મળી આવ્યા છે. પરંતુ હજુ સુધી આરોપીને પકડવા પોલીસ નિષ્ફળ રહી છે.
મણીનગર જોગણી માતાના મંદિરના પગથિયા પર 10 દિવસની નવજાત બાળકીને મંદિરના ઓટલા પર કોઈ છોડીને જતું રહયું હતું. મંદિર નજીક આવેલી દરગાહ પાસે ફૂટપાથ પર રહેતા લોકોએ બાળકીનો રડવાનો અવાજ સાંભળ્યો. અને તેઓ મંદિર નજીક પહોંચ્યા તો, બાળકી થિજાતી ઠંડીમાં રડતું જોવા મળ્યું. એક ચેઈનવાળી ગોદડીમાં આ બાળક ઢાંકેલું હતું. ગોદડી હટાવીને જોયું તો તેમાં 10થી 12 દિવસની તાજી જન્મેલી બાળકી હતી.
આ બાળકીને ઉઠાવીને લોકો દરગાહમાં પહોંચ્યા અને ત્યાં બાળકીને દૂધ પીવડાવી શાંત કરી હતી. લોકોએ બાળકના માતા-પિતા આવશે તેવી રાહ જોઈ. પરંતુ કલાકો બાદ પણ કોઈ બાળકીને લેવા ન આવ્યું તો લોકોએ પોલીસને જાણ કરી હતી. મણિનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ બાળકીને અજાણી સ્ત્રી તરછોડી દેવાનો ગુનો નોંધી બાળકીને સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામાં આવી.
પોલીસ ગુનો નોંધી તપાસ કરતા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. જેમા એક શંકાસ્પદ રિક્ષા પસાર થઈ રહી હતી. આ રિક્ષામાં કોઈ આવીને બાળકી તરછોડી દીધી હોવાનું પોલીસને શંકા છે. જયારે બાળકી જે ગોદડીમાંથી મળી આવી તે જોતા રહીશ સમાજની કોઈ વ્યક્તિએ આ બાળકીને તરછોડી દીધી હોવાનું પોલીસ માની રહી છે. આ નિર્દોષ દિકરીની આંખો સવાલ કરી રહી છે કે, તેનો વાંક શું છે. પોલીસ જ બાળકીની માતા અને પિતાની ફરજ બજાવી રહી છે. હાલમાં બાળકીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. તે તંદુરસ્ત છે. પરંતુ એક ફુલ જેવી દિકરીને ત્યજી દેનાર માતાને લઈને પોલીસે ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી છે.