આખરે ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ ગઇ છે. ત્યારે રાજ્યના મહિસાગરના ગોઠીબડા ગામમાં વીજળી પડતા એક મહિલાનું મોત નિપજ્યું છે.
ગોઠીબડા ગામમાં સૂકીદેવીના ફળિયામાં વીજળી પડતા એક મહિલાનું મોત
મહીસાગર જિલ્લામાં ગઇકાલે સાંજના 6 વાગ્યાથી વરસ્યો હતો ભારે વરસાદ
હળવદમાં પણ દીવાલ ધરાશાયી થતા 3નાં મોત નિપજ્યાં
મુંબઇમાં વરસાદ પડ્યા બાદ હવે રાજ્ય (ગુજરાત) માં વરસાદની પધરામણી થઇ ગઇ છે. જેનાથી લોકોને ગરમીથી પણ રાહત મળી છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. ત્યારે ગુજરાતમાં ગઇકાલે મહીસાગર જિલ્લામાં સાંજના 6 વાગ્યાથી ભારે વરસાદ વરસ્યો હતો. ગોઠીબડા ગામમાં સૂકીદેવીના ફળિયામાં વીજળી પડતા એક મહિલાનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એ સિવાય લુણાવાડામાં વીજળી પડતા બે પશુઓના મોત નિપજ્યા હતા.
ગોઠીબડા ગામમાં વીજળી પડતા એક મહિલાનું કરુણ મોત
ગોઠીબડા ગામમાં સૂકીદેવીના ફળિયામાં રહેતા 42 વર્ષીય શિવિબેન ભેંસ ઘરમાં લાવવા માટે ઘરની બહાર નીકળ્યાં હતાં. એ જ સમયે અચાનક વીજળી પડતાં ઘટનાસ્થળે જ તેઓ ઢળી પડ્યાં. ત્યાર બાદ તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં. જ્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા. જેના લીધે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.
હળવદમાં પણ દીવાલ ધરાશાયી થતા 3નાં મોત
બીજી બાજુ મોરબીના હળવદ તાલુકામાં મુશળધાર વરસાદ વરસતા દીવાલ ધરાશયી થઇ. જેમાં એક જ પરિવારના ૩ લોકોના મોત નિપજ્યા છે. તો એમ કહી શકાય કે એક તરફ વરસાદના કારણે લોકોમાં ખુશીનો માહોલ છે, તો બીજી બાજુ વરસાદના કારણે પરિવારમાં માતમ છવાયો છે.
મહીસાગરના સંતરામપુરમાં ત્રણ ઈંચ વરસાદ
રવિવારે સવારના છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીમાં રાજ્યના 70 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં મહીસાગરના સંતરામપુરમાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રવિવારે બપોર બાદ રાજ્યના મોટાભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જૂનાગઢ શહેર અને જૂનાગઢ ગ્રામ્ય તેમજ અમરેલીના વડિયામાં સાંજના ચાર વાગ્યાથી છ વાગ્યા દરમિયાન દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
15થી 20 જૂન સુધીમાં વરસાદની સંભાવના
નૈઋત્યનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું છે. ગુજરાતમાં તારીખ 15થી 20 જૂન સુધીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 13થી 14 જૂન સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. તો તારીખ 16થી 18 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના સેવવામાં આવી છે. તારીખ 15 જૂન બાદ ગુજરાતમાં છુટો-છવાયો વરસાદ ચાલું રહેશે. ચાર દિવસ સુધીમાં નૈઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચવાની સંભાવના છે.