મહેસાણાના મુદરડા ગામે મંગળવારે સાંજે લાઉડ સ્પીકર ધીમું વગાડવા બાબતે હુમલો કરતા એકનું મોત નીપજ્યું. 6 શખ્સો લાકડીઓ અને ધોકા વડે જીવલેણ હુમલો કરતા બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે લાંઘણજ પોલીસે 6 લોકો સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
સ્પીકર વગાડવા બાબતે કર્યો હુમલો
વાત જાણે એમ છે કે મુદરડાના ટેંબાવાળા ઠાકોરવાસમાં રહેતા અજીતજી વીરસંગજી ઠાકોર અને તેમના નાના ભાઇ જસવંતજી ઠાકોર ઘરના આંગણે માતાજીના મંદિરમાં દીવો કરી રહ્યા હતા. તે વખતે મહોલ્લાના સદાજી રવાજી ઠાકોરે સ્પીકર કેમ વગાડે છે તેમ પૂછતા અજીતજીએ જણાવ્યું કે દીવો કરી રહ્યો હોવાથી સ્પીકર ચાલુ છે. આ બાબતે ઉશ્કેરાયેલા સદાજી રવાજી ઠાકોર સહિત 6 શખ્સોએ લાકડીઓ અને ધોકા વડે બંને ભાઇઓને ઢોર માર માર્યો હતો.
બંને ભાઇઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા
આ મામલે પોલીસને જાણ કરાતા લાંઘણજ પોલીસ સ્ટાફ મુદરડા ગામે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત ભાઇઓએ સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ તાત્કાલિક ખસેડાયા હતા. જો કે બંનેને ગંભીર ઇજા હોવાથી પછીથી સારવાર માટે અમદાવાદ સિવિલ રિફર કરાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જસવંતજી ઠાકોરને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે મુદરડા ગામમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે. પરિવારમાં દુઃખની લાગણી ફરી વળી હતી. આ મામલે લાંઘણજના પી.એસ.આઇએ જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ થઇ ગઇ છે ટૂંક સમયમાં જ આરોપીને ઝડપી લેવામાં આવશે.