જામનગરમાં તાજીયા જુલૂસમાં વીજકરંટ લાગતા બેના મોત નિપજ્યા છે જ્યારે અન્ય 9 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
જામનગરમાં એકસાથે 10 લોકોને લાગ્યો વીજકરંટ
તાજીયા જુલૂસમાં વીજકરંટ લાગતા બેના મોત
9 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
જામનગરના ઘરાનગર વિસ્તારમાં તાજીયા દરમ્યાન એક ચોંકાવનારી ઘટના ઘટી છે. ધરાનગરમાં તાજીયા દરમ્યાન 10 લોકોને વીજ કરંટ લાગ્યો છે. જેમાં બેના મોત નિપજ્યા છે અને આ દુર્ઘટનામાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સારવાર અર્થે ખસેડાય એ પહેલાં જ એકનું મોત, બાદમાં અન્ય એકનું મોત
અત્યારે જે મહોરમનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે જામનગરના ઘરાનગર વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં જુલૂસમાં લોકો જોડાયા હતા. આ વિસ્તારના જાહેર ચોકની અંદર જે જુલૂસ નીકળતું હોય છે તે દરમ્યાન અચાનક જ ક્યાંકથી વીજવાયર તૂટવાના કારણે એકસાથે લગભગ 10 લોકોને વીજકરંટ લાગ્યો હતો. જેથી તમામ લોકોને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવે એ પહેલા જ એકનું મોત નિપજ્યું હતું. બાદમાં અન્ય એકનું પણ મોત નિપજ્યું હતું.
જો કે આ ઘટનાને લઇને હોસ્પિટલે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. તેમજ તાજિયાનો સમગ્ર ઉત્સવ શોકમાં ફેરવાઇ ગયો હતો. જો કે આ ઘટનાની જાણ થતા તુરંત પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ હવે એ મામલે તપાસ કરી રહી છે કે આખરે આ વીજવાયરનો કરંટ લાગવા પાછળનું મુખ્ય કારણ શું છે? આખરે કઇ રીતે એકસાથે 10 લોકો આ વીજકરંટની ઝપેટમાં આવી ચડ્યા. જેવી અનેક બાબતે પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.