વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આ વખતનો સ્વતંત્રતા દિવસ કઈક ખાસ અંદાજમાં મનાવવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકારે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ પર 'હર ઘર તિરંગા' મુહિમ શરૂ કરવાની યોજના બનાવી છે. આ અભિયાન ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠને ચિન્હિત કરવા માટે સરકાર દ્વારા આયોજિત કરવામાં આવેલા અનેક કાર્યક્રમોમાંનું એક છે.13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે સૌ કોઇ પોતાના ઘર પર તિરંગો લહેરાવે તેમ પીએમ મોદીએ દેશવાસીઓને જણાવ્યું હતું. જેને લઇને ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં તિરંગો બનાવવાની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
તિરંગો બનાવવા માટે સ્પેશિયલ કાપડ
આ અંગે લક્ષ્મીપતિ ગ્રુપના અમિત મિત્તલે વીટીવી ન્યૂઝને જણાવ્યું કે તિરંગાનું માન અને સન્માન પૂર્વક ચંપલ કાઢીને કામગીરી કરવામાં આવી રહી છે. તિરંગો બનાવવા માટે સ્પેશિયલ 80gsmનું કાપડ બનાવવામાં આવ્યુ છે. રેગ્યુલર કરતા અલગ કપડુ બનાવવામાં આવ્યુ છે. જેપનીઝ મશીનમાં તિરંગો પ્રિન્ટ કરવામાં આવ્યો છે. 20*30ની સાઇઝમાં તિરંગો બનાવવામાં આવ્યો છે.
10 ઑગષ્ટ સુધી 1 કરોડ તિરંગા બનાવવાનું લક્ષ્યાંક
સુરતની એક ટેક્સટાઇલ કંપનીને 10 ઑગષ્ટ સુધી એક કરોડ તિરંગા બનાવવાનો ઓર્ડર આપ્યો છે. સુરતના લક્ષ્મીપતિ ગ્રૃપને ઓર્ડર આપવામાં આવ્યો છે. આ તિરંગાને અલગ અલગ રાજ્ય અને શહેરમાં મોકલવામાં આવશે. જેને લઇને હાલમાં પુરજોશમાં કામગીરી શરૂકરી દેવાઇ છે. દિવસ અને રાત એક કરીને કારીગરો ઉત્સાહ સાથે તિરંગો બનાવવાની કામગીરીમાં જોડાયા છે. મહત્વનું છે કે પીએમ મોદીએ હર ઘર તિરંગા અભિયાનને મજબૂત બનાવવા આહ્વાહન કર્યુ હતું, સાથે એમ પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે સૌ કોઇ પોતાના ઘર પર તિરંગો લહેરાવે.