કોરોના વાયરસ મહામારીના વધતા કેસ વચ્ચે જયારે સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી ત્યારે સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો પર પ્રાંતીય કામદારોએ કરવો પડ્યો હતો. લાખોની સંખ્યામાં લોકો પોતાનો રોજગાર ગુમાવતા પગપાળા જ પોતાને વતન ચાલી નીકળ્યા હતા.
શરૂઆતમાં સરકારે સંસદમાં કહ્યું હતું કે તેમની પાસે પ્રવાસી મજૂરોને લગતો કોઈ ડેટા ઉપલબ્ધ નથી. વળી બીજી બાજુ સરકારે એવું કહ્યું હતું કે લોકડાઉન બાદ માર્ચથી જૂન સુધી એક કરોડથી વધુ પ્રવાસી મજૂરો પગપાળા પોતાના ઘરે પાછા ફરવા મજબૂર બન્યા હતા. જો કે સરકારે હજુ પણ એ આંકડો આપ્યો નથી કે આ પગપાળા ચાલતા કેટલા મજૂરોના મોત થયા હતા.
સડક પરિવહન રાજ્ય મંત્રી વી કે સિંહે લોકસભામાં લેખિત જવાબમાં કહ્યું હતું કે કોરોના વાયરસને કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો તેમના ઘરે સ્થળાંતરિત થયા હતા. શ્રમ અને રોજગાર મંત્રાલયે અત્યાર સુધીમાં એકત્રિત કરેલા ડેટા મુજબ કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન લગભગ 1.06 કરોડ પરપ્રાંતીય મજૂરોને પગપાળા ઘરે જવાની ફરજ પડી હતી.
વી કે સિંહે સંસદમાં કહ્યું કે અત્યાર સુધી જે અસ્થાયી ડેટા ભેગો કરવામાં આવ્યો છે તે પ્રમાણે માર્ચ-જૂન 2020ની વચ્ચે 81,385 રોડ અકસ્માત થયા છે જેમાં 29,415 લોકો મોતને ભેટ્યા છે. જો કે તેમણે સ્પષ્ટતા કરી હતી કે મંત્રાલયે લોકડાઉન દરમિયાન રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોનો અને પરપ્રાંતીય મજૂરોના મોતનો એવો અલગ ડેટાબેઝ બનાવ્યો નથી.
માર્ગ પરિવહનના રાજ્યમંત્રી જણાવ્યું હતું કે સરકારે પરપ્રાંતિયોને હાઈવે પર પગપાળા જવાને બદલે લાવવા લઇ જવાની વ્યવસ્થા કરી હતી. તેમના ભોજન, પીવાના પાણી, દવાઓ અને પગરખાં માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેમને રહેવાની જગ્યા પણ પૂરી પાડવામાં આવી હતી.
આ સિવાય ઘણી જગ્યાએ સ્થાનિક વહીવટીતંત્રે તેમને ઘરે પહોંચવામાં મદદ કરી હતી. 29 એપ્રિલ 2020 અને 1 મે 2020 ના ગૃહ મંત્રાલયના આદેશના પગલે, પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે લઈ જવા માટે બસો અને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.