એક તરફ વિશ્વ કોરોના સંકટથી પસાર થઇ રહ્યું છે પણ દુશ્મન દેશ પાકિસ્તાન તેની હરકતોથી ઊંચું નથી આવતું. આજે ફરી પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી ગોળીબાર કર્યો જેમાં ભારતનો એક જવાન શહીદ અને બે જવાન ઈજાગ્રસ્ત થયા છે.
પૂંછ સેક્ટરમાં પાકિસ્તાનની નાપાક હરકત
ભારતનો વીર સપૂત શહીદ, બે સૈનિક ગંભીર રૂપે ઘવાયા
ગુરુવારે પણ કર્યું હતું સીઝફાયરનું ઉલ્લંઘન
અંધાધુંધ ફાયરીંગમાં ભારતનો જવાન શહીદ
જમ્મૂ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ અંધાધુંધ ફાયરીંગમાં ભારતનો એક જવાન શહીદ થઇ ગયો છે. નિયંત્રણ રેખા પર પાકિસ્તાન સતત ભારતને ઉશ્કેરવાનાં પ્રયત્નો કરી રહ્યું છે.
પાકિસ્તાને ગોળીબાર અને મોર્ટારથી ભારત પર હુમલાઓ કર્યા
પાકિસ્તાને પૂંછ જિલ્લાનાં કિરની સેકટરમાં શાહપુર પાસે Loc પર ફાયરીંગ કર્યું. ફાયરીંગમાં ઘવાયા બાદ ભારતના વીર સપૂતે દેશ માટે પ્રાણ ન્યોછાવર કરી દીધા. આ સિવાય બે સૈનિકો ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાને ગોળીબાર અને મોર્ટારથી ભારત પર હુમલાઓ કર્યા જેનો પાકિસ્તાનેને જડબાતોડ જવાબ પણ આપવામાં આવ્યો.
ભારતને છંછેડવાનો પ્રયત્ન કરી રહ્યું છે પાક
નોંધનીય છે કે 12મી જૂને પણ પાકિસ્તાને આ જ સેક્ટરમાં ભારતની ચોકીઓને નિશાને લીધી હતી અને ગ્રામીણ વિસ્તારોમાં ફાયરીંગ કરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય સેના અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી પાકિસ્તાન તેની નાપાક હરકતોથી ભારતને ઉશ્કેરી રહ્યું છે. ગયા ગુરુવારે જ રાજૌરી અને પૂંછ જિલ્લામાં પાકિસ્તાનના ગોળીબારમાં ભારતનો એક જવાન શહીદ થઇ ગયો હતો. પાકિસ્તાનના હુમલામાં ઘણા બધા મકાનોને નુકસાન પહોંચતા નાગરિકોએ સુરક્ષિત સ્થાન પર જઈ શરણ લેવાની ફરજ પડી હતી.