દેશનાં ૧૦ રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, જમ્મુ-કાશ્મીર (સંભવિત)માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓ વર્ષ ૨૦૨૪માં થનારી ચૂંટણીનાં પરિણામોનો સ્પષ્ટ સંકેત સમાન હશે તે તો નક્કી છે.
2024માં દેશમાં થશે લોકસભાની ચૂંટણી
દેશનાં 10 રાજ્યોનાં પરિણામો બનાવશે આવનારી સરકાર
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો
વર્ષ 2024માં ભારતમાં લોકસભાની ચૂંટણીઓ થવા જઈ રહી છે ત્યારે દેશનાં 10 રાજ્યોનાં પરિણામો પર આધાર રાખશે કે 2024માં કોની સરકાર બનશે. ત્રિપુરામાં ભાજપની સરકાર છે. નાગાલેન્ડમાં નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી સત્તારૂઢ છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં ભાજપ સત્તાસ્થાને છે. તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ની સરકાર સત્તામાં છે. મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ સત્તારૂઢ છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મિઝોરમની વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન અલગ-અલગ તારીખોએ સમાપ્ત થઈ રહ્યો છે. આ તમામ રાજ્યોમાં કુલ ૧૧૬ લોકસભા સીટો છે.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો
રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થવાનું નક્કી છે. જ્યારે કર્ણાટકમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે તો તેલંગાણામાં ટીઆરએસ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિકોણિય જંગ ખેલાવાનો છે. ત્રિપુરામાં પણ ભાજપ, કોંગ્રેસ અને લેફ્ટફ્રન્ટ વચ્ચે મુકાબલો થવાનો છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સતત પોતાના જનાધાર અને સંગઠનને મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ છે. જમ્મુ-કાશ્મીરમાં પહેલી વખત ખુદના દમ પર સરકાર રચીને સમગ્ર દેશની જનતાને સંદેશ આપવાની તક ભાજપ ગુમાવવા ઈચ્છતો નથી.
ગુજરાતમાં ભાજપનો ઝંડો લહેરાયો
ગુજરાતમાં તાજેતરમાં હાથ ધરાયેલા એક જનમત સર્વેક્ષણમાં બહુ ચોંકવનારાં પરિણામો સામે આવ્યાં હતાં. અનુસૂચિત જનજાતિના અંદાજે ૩૫ ટકા મતદારોએ ભાજપ પર પોતાની પસંદગી ઉતારી હતી, જ્યારે કોંગ્રેસને ફક્ત ૨૭ ટકા મતદારોએ પસંદ કરી હતી. ગુજરાતમાં આદિવાસીઓનાં દિલ જીતવાનો ફાયદો ભાજપને રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ થશે. આ ત્રણેય રાજ્યમાં નવેમ્બર, ૨૦૨૩માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
2023માં કર્ણાટક અને ત્રિપુરામાં થશે ચૂંટણી
કર્ણાટક અને ત્રિપુરામાં પણ ભાજપે ગુજરાતની જેમ જ નેતૃત્વ પરિવર્તન કર્યું છે. કર્ણાટકમાં મે અને ત્રિપુરામાં ફેબ્રુઆરી, ૨૦૨૩માં ચૂંટણી થવાની છે. આ માટે ગત જુલાઈમાં કર્ણાટકમાં બી.એસ. યેદિયુરપ્પાના સ્થાને બસવરાજ બોમ્મઈને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યાં હતાં અને ત્રિપુરામાં આ વર્ષે મે મહિનામાં બિપ્લવ દેવની જગ્યાએ માણિક સાહાને સુકાન સોંપવામાં આવ્યું હતું. વિકાસ કાર્યોમાં જોરદાર ઝડપ લાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જૂથવાદ અને ભ્રષ્ટાચારના આરોપોને દૂર કરવા માટે પણ નેતૃત્વ પરિવર્તન બહુ જરૂરી હતું.
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન- ત્રિપુટીમાં મોદી મેજિકની આવશ્યકતા
ભાજપ વિરોધી લહેરને પલટી નાખવા માટે ‘મોદી મેજિક’ની તમામ કાર્યકરો આશા રાખીને બેઠા છે. હિન્દી બેલ્ટના ત્રણ મહત્ત્વના રાજ્ય - મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સત્તારૂઢ થવા માટે ભાજપે સ્થાનિક સ્તરે મેળવેલી સફળતાના બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચંડ લોકપ્રિયતા અને તેમનાં વિકાસ કાર્યો જ વધુ કામ લાગશે તેવું રાજકીય પંડિતો કહી રહ્યા છે. આ ત્રણેય રાજ્યમાં ભાજપનું નેતૃત્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. મધ્યપ્રદેશ ભાજપના કેટલાક ટોચના નેતાઓ જ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના સ્થાને નરેન્દ્રસિંહ તોમરનું નામ આગળ વધારી રહ્યા છે. તોમરનો મજબૂત જનાધાર નથી અને તેઓ ખૂબ લોકપ્રિય એવા શિવરાજસિંહનો વિકલ્પ બની શકે તેમ ન હોવાથી હાલના સંજોગોમાં આ સમસ્યા વકરે તેવું લાગતું નથી.
વિપક્ષનાં આંતરિક વિવાદોનો ફાયદો ભાજપને
લોકસભા ચૂંટણી-૨૦૨૪માં ભાજપને વિપક્ષમાં પડેલી ફૂટ અને અંદરોઅંદરના ડખાનો સીધો ફાયદો મળી શકે તેમ છે. કોંગ્રેસ ભલે હિમાચલ પ્રદેશમાં જીતી ગઈ હોય, પરંતુ ફક્ત ચાર લોકસભા બેઠકોવાળું આ રાજ્ય લોકસભા ચૂંટણીમાં ખાસ મહત્ત્વ ધરાવતું નથી. ભાજપ રાજસ્થાન અને છત્તીસગઢમાં પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે અને ડો.રમણસિંહને ફરીથી સીએમપદનો ચહેરો બનાવવાના મુદ્દે ભારે અસમંજસમાં છે. મોટાભાગના નેતાઓ અને કાર્યકરો માને છે કે આ વખતે આ બંને રાજ્યમાં ભાજપે મુખ્યપ્રધાન પદના ઉમેદવાર વગર જ ચૂંટણી મેદાનમાં ઊતરવું જોઈએ.
દેશનાં મતદારોનાં હાથમાં કમાન
૨૦૨૪ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો દરેક મતદાર એ ખાસ જોશે કે દેશને તે કોના હાથમાં સોંપી રહ્યો છે. આ હાથમાં દેશ સુરક્ષિત છે કે નહીં અને દુનિયામાં ભારતનું મસ્તક ગર્વથી ઊંચું રહે તેવો દમ ક્યા નેતામાં છે. રાષ્ટ્રીય સુરક્ષા અને દેશની એકતા તથા અખંડિતતા લોકસભા ચૂંટણીમાં સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દા બની રહેશે. ભાજપે વર્ષોથી આ તમામ મુદ્દાઓ પર જ લોકો પાસે મત માગ્યા છે અને સામાન્ય મતદાર પીએમ નરેન્દ્ર મોદીમાં એક મજબૂત નેતૃત્વને જોઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષો માટે સામાન્ય લોકોની આ વિચારધારા બદલવી એ કોઈ નાનોસુનો પડકાર નથી. ૧૦ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આગામી લોકસભા ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ કરશે અને દેશના મતદારોનો અસલી મિજાજ પણ જાણવા મળશે.