ઉનાળામાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પાણીની ભારે તંગી જોવા મળી. પરંતુ મેઘરાજાએ મહેર વર્ષાવી દિધી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ થઇ રહ્યો છે. તો વડોદરા જિલ્લો પણ નવા
નીરમાં તરબતોળ થઇ ગયો.
પાણી માટે ટળવળતા સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન થઇ ગયા. અમરેલીથી લઇને જૂનાગઢ અને જામનગરથી લઇને દ્વારકા સુધી સિઝનની શરૂઆતમાં જ સારો વરસાદ થયો.
દરિયા કાંઠાના વિસ્તાર એવા ગીર સોમનાથમાં 6 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ થયો. જેના કારણે નદી નાળા છલકાઇ ગયા. તો અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. પરંતુ આકરા ઉનાળા બાદ મન મૂકીને વરસેલા
મેઘરાજાએ હાલ તો ધરતીપુત્રોને ખુશખુશાલ કરી દિધા.
ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ દરિયો પણ ગાંડોતૂર થયો. વરસાદ સાથે છૂટેલા પવનના કારણે દરિયામાં 10 ફુટ જેટલી ઉંચાઇ સુધી મોજા ઉછળવા માડયા. એટલે ફિશરીઝ વિભાગે માછીમારોને હાલ દરિયો ન ખેડવાની
સલાહ આપી છે.
જૂનાગઢના ગિરનાર પર મેઘરાજાની મહેરબાની જોવા મળી. ગિરનાર પર બપોર સુધીમાં જ 3 ઈંચ જેટલો વરસાદ વરસી પડયો.
ભારે વરસાદના કારણે કેટલાક સ્થળે લોકો મુશ્કેલીમાં પણ મૂકાયા છે. ગીરગઢડાના સણોસરી ગામે પુલ તૂટી પડયો. એટલે લોકો દોરડાના સહારે પુલ પાર કરી રહ્યા છે.
વડોદરા જિલ્લામાં પણ ગિરની જેમ જ પાણીનો પ્રકોપ જોવા મળ્યો. ઢાઢર નદીમાં પાણી વધી જતા ડભોઇ તાલુકાના પાંચ ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા. એટલે નાયબ કલેક્ટર તરત જ હરકતમાં આવ્યા. અને ટીમ સાથે ગામોની મુલાકાત લીધી.
તો વડોદરા શહેરની હાલત પણ ગ્રામ્ય વિસ્તાર જેવી જ થઇ છે. બે દિવસના વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઇ ગયું. અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.