ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપ તરફી જાહેર થતા જ ભાજપ ફરીવાર પોતાની સરકાર રચશે તે સ્પષ્ટ થયું હતું અને 99 બેઠકો સાથે વિજયી બનેલ ગુજરાતના સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા હજુ સુધી મુખ્યમંત્રી તરીકે કોની પસંદગી કરી છે તે જાહેર કરવામાં આવ્યું નથી.
તાજેતરમાં માધ્યમોમાં ફરતા થયેલા કેટલાક સંદેશાઓમાં ફરીવાર વિજય રૂપાણી મુખ્ય પ્રધાન બનશે તેવી અટકળો ચાલી રહી છે. આ સાથે પહેલા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા રાજ્યપાલ પદ છોડી ને ગુજરાતના મુખ્યપ્રધાન બનશે તેવા સંદેશો પણ વહેતા થયા હતા.
આ સાથે કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓ હારી જતા હવે વિધાનસભાના વિપક્ષના ઉમેદવાર તરીકેની જગ્યા પણ ખાલી થઇ હતી.
ત્યારે આજે બપોર પછી માધ્યમો પર વહેતા થયેલા સંદેશાઓમાં અમરેલીના ઉમેદવાર અને કોંગ્રેસના યુવા નેતા પરેશ ધાનાણીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકેની પસંદગી કરવામાં આવે તેવી અટકળો વહેતી થઇ હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાના પરિણામો જાહેર થઇ ગયા છે અને હવે નજીકના ભવિષ્યમાં ભાજપ સરકાર બનશે વિધાનસભામાં વિરોધ પક્ષ નેતા તરીકે પણ કોંગ્રેસ પોતાના કોઈ ઉમેદવાર પર પસંદગી ઉતારશે પરંતુ માધ્યમોમાં ફરતા થયેલા નામ ખરા અર્થમાં સાચા પડે છે કે પછી કોઈ નવા ચહેરા જ બન્ને પક્ષના હાઈ કમાન્ડ નક્કી કરે છે તે હવે આવનારો સમય જ કહેશે