નવી દિલ્હી: વિરાટ કોહલીના હાથે જ્યારથી ટીમ ઇન્ડિયાની કમાન આવી છે ત્યારથી ક્રિકેટ અને ટીમથી જોડાયેલા કોઇને કોઇ નવા મુદ્દાઓ સામે આવી જ જાય છે. હવે વિરાટે ક્રિકેટમાં વ્યસ્ત શેડ્યૂલ બાદ ખેલાડીઓની સેલેરીનો મુદ્દો ઊઠાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ મુદ્દા પર બીસીસીઆઇ અને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની વચ્ચે શુક્રવારે દિલ્હીમાં બેઠક થનાર છે.
બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યું કે કોહલીએ બોર્ડને થતી કમાણીમાં ખેલાડીઓને વધારે ભાગીદારીની માંગણી કરી છે. જો કે આ વર્ષે ટીમ ઇન્ડિયાના ટોપ ખેલાડીઓની વર્ષની કમાણી બમણી થઇ ગઇ છે એટલે કે ખેલાડીઓની વર્ષની કમાણી 3 લાખ ડોલર સુધી પહોંચી ગઇ છે.
એક અધિકારીએ આ વાતની જાણકારી આપતાં કહ્યું કે ટીમના ખેલાડી પોતની સેલેરીમાં વધારો ઇચ્છે છે અને એ આ મુદ્દો કપ્તાન કોહલી ધોની અને કોચ રવિ શાસ્ત્રીની સામે ઊઠાવી ચૂક્યો છે. આ મુદ્દાને લઇને આ ત્રણેય બીસીસીઆઇના એડમિનિસ્ટ્રેટર વિનોદ રાય સાથે મળીને વાતચીત કરશે. વિનોદ રાયે કહ્યું કે અમે ખેલાડીઓના કરારમાં ફેરફાર કર્યા છે. એમને કહ્યું કે ખેલાડીઓની સાથે અમે વાતચીત કરી છે અને દિલ્હી ટેસ્ટ પહેલા એક વખત ફરીથી વાત કરશે.