અમદાવાદઃ આવતી કાલે એટલે કે 31મી જાન્યુઆરી 2018ના દિવસે ખગ્રાસ ચંદ્ર ગ્રહણ થઈ રહ્યું છે. સામાન્ય રીતે આ પ્રકારના ગ્રહણ કે જે ભારતમાં દેખાવાના હોય તેનું ધાર્મિક મહત્વ પણ એટલું જ હોય છે.
ખાસ કરીને ગ્રહણના દિવસે મંદિરોમાં દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. આમ તો ગ્રહણ એક ખગોળીય ઘટના છે. જેનું વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ રહેલું હોય છે.
જે અંતર્ગત સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવે ત્યારે પૃથ્વીના પડછાયામાં ચંદ્ર આવી જાય છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ધાર્મિક મહત્વના ભાગરૂપે મંદિરોના દર્શનના સમયમાં આવતી કાલે ફેરફાર રહેશે.
આ દિવસે ચંદ્રના સામાન્ય કિરણ નથી હોતા. ચંદ્રના કિરણોમાં સૂક્ષ્મ તત્વોની હાજરી હોય છે. ચંદ્રગ્રહણના દિવસે પૂજા પાઠ વર્જિત છે. માંગલિક કાર્યો પણ ન કરવા જોઈએ.
ચંદ્ર ગ્રહણ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- ચંદ્ર ગ્રહણના દિવસે નખ અને વાળ કાપવા ન જોઇએ અશુભ મનાય છે.
- મહિલાઓએ સિલાઇ કામ કરવું નહીં
- ચંદ્ર ગ્રહણ દરમિયાન નિંદા ન કરવી અને મનમાં ખોટા વિચારો ન લાવવા
- ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે ચંદ્ર ગહણ સમયે વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જે માતા અને બાળક બન્ને માટે હાનિકારક છે. ત્રણ મહિનાથી વધુ ગર્ભવતી મહિલાઓ ઘરથી બહાર ના નીકળવું જોઇએ. ગ્રહણ દરમ્યાન કંઇ ખાવું-પીવું જોઇએ નહીં. ગ્રહણ પૂરું થયા બાદ સ્નાન કરવું જોઇએ અથવા તો પછી ભીના કપડાંથી શરીર લૂછી કપડાં બદલી દેવા જોઇએ.
- ચંદ્ર ગ્રહણના દિવસે કોઇપણ પ્રકારનું શુભકાર્ય ન કરવું. જો તમે કોઇપણ શુભ કાર્યની શરૂઆત કરવા જઇ રહ્યાં છો તો તેના માટે ખતરનાક હોઇ શકે છે
- ચંદ્ર ગ્રહણના દિવસે પતિ-પત્નીએ આ દિવસે સંભોગ કરવો જોઇએ નહીં. શાસ્ત્રોના મતે ગ્રહણના સમયે શારીરિક સંબંધ બાંધી જન્મ લેનાર સંતાનમાં કેટલાંય પ્રકારની ખામીઓ હોઇ શકે છે. આ દરમ્યાન પતિ-પત્ની બંનેએ ભગવાનનું નામ લેવું જોઇએ.
- ગ્રહણ કાળમાં સ્વસ્થ વ્યક્તિએ સૂવું જોઇએ નહીં. ગર્ભવતી વૃદ્ધ અને બીમાર લોકોને આ મામલામાં છૂટ છે તેઓ આરામ કરી શકે છે. આ દરમ્યાન સૂવાથી સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
- ગ્રહણ દરમ્યાન ભોજનનું સેવન કરવું જોઇએ નહીં. આ સિવાય ગ્રહણના સમયે ખાવાનું બનાવું પણ અશુભ છે. આ સિવાય એ દિવસે જમવાનું બનાવતા સમયે તેમાં તુલસી પત્ર નાંખવા જોઇએ. જેથી ભોજન પર ગ્રહણની અસર થશે નહીં
- ગ્રહણ દરમ્યાન કોઇપણ પ્રકારની પૂજા કરવી જોઇએ નહીં. મંત્રોનો જાપ પણ મનમાં જ કરો. કોઇપણ પ્રકારની પૂજા ગ્રહણ દરમ્યાન કરવી જોઇએ નહીં. ગ્રહણના સમયે તમામ મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે.