કચ્છ: કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી આજે વહેલી સવારે વધુ 3 પાકિસ્તાની બોટ ઝડપી લેવામાં આવી છે. પાકિસ્તાની માછીમારોની ગેરકાયદેસર માછીમારી માટે કુખ્યાત હરામીનાળા વિસ્તારમાંથી આજે વહેલી સવારે BSF ના જવાનોએ વધુ 3 પાકિસ્તાની બોટ તેમજ 3 પાકિસ્તાનીઓને ઝડપી લીધા.
જ્યારે બાકીના માછીમારો અંધારાનો લાભ લઇને પાકિસ્તાન બાજુ ભાગી ગયા હતા. હરામીનાળા પિલર નં-1170 નજીક થી ગઈકાલે અને આજે એટલે કે 24 કલાકમાં કુલ 8 પાકિસ્તાની તેમજ 9 પાકિસ્તાની બોટ BSF ના જવાનોએ ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા પાકિસ્તાનીઓ પાસેથી કઈ વાંધાજનક વસ્તુઓ મળી આવી નથી. ક્ચ્છ સરહદે BSF દ્વારા સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લે કેટલાક સમયગાળાથી પાકિસ્તાન દવારા ભારતની હદમાં ઘૂસણખોરીની હરકત કરી રહ્યું છે.અને થોડા સમય પહેલા જ કચ્છના અમુક વિસ્તારમાં કોઈ અજાણ્યો શખ્સ પણ ફરતો જોવા મળ્યો હતો તેને પગલે બીએસએફ અને ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા વિવિધ તાપસ હાથ ધરવામાં આવી હતી.
આગામી સમયગાળામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે કચ્છમાંથી બોટ ઝડપાતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી અને કોઈ અઘટિત બનાવ ના બને તે માટે તપાસ હાથ ધરી હતી.