ગુજરાત એટલે એવુ રાજ્ય જેની આબોહવામાં જ વેપાર અને સમૃધ્ધિ રહેલી છે. ગુજરાતની પ્રજા જેટલી ખાણી-પીણીની શોખીન છે તેટલી જ આ પ્રજા ફરવાનો પણ આગવો શોખ ધરાવે છે. ગુજરાતમાં કેટલાક સ્થળો એવા આવેલા છે જે જોઇને મન મલકી ઉઠે છે. આમ ગુજરાતી ભલે ગમે તે સ્થળે જાય પણ પોતાના મલકને ભુલી શકતો નથી. આવો જાણીએ અને માણીયે આપણા આ મલકને...
આહવા કુદરતી સમૃધ્ધિનો ભંડાર:
આહવાએ ડાંગ જીલ્લાનું વડું મથક છે. આ સ્થળ નૈસર્ગિક વાતાવરણથી ઘેરાયેલું છે. વરસાદની સીઝન અને વરસાદ પછીના સમયે પણ સહેલાણીઓ મોટી સંખ્યામાં આ સ્થળની મુલાકાતે આવી પહોંચે છે. સુરતથી સોનગઢ થઇ આહવાના રસ્તે ગોમુખ ગિરામલ ધોધ શબરી ધામ અને પંપા સરોવર આવેલા છે. જ્યા પ્રકૃ્તિ સોળે કળાએ ખીલી ઉઠી છે.
ગોમુખ:
આહવા જતી વખતે સોનગઢથી 15 કિ.મી ના અંતરે ગોમુખ ધોધ આવેલો છે. અહીં નાના-નાના ઝરણા વિશાળપથ્થરો સાથે અથડાઈને આશરે 50 મીટર ઉંચાઇએથી જમીન પર પડે છે. આ રમણીય સ્થળે પહોંચવામાટે વાંકા-ચુકા રસ્તે પસાર થવું પડે છે. અને 125 જેટલા પગથિયા ચઢવા પડે છે.
ગિરામલ ધોધ:
ગોમુખથી 30 કિ.મી ના અંતરે ગિરામલ ધોધ આવેલો છે. અહીં અંબિકા નદીનું પાણી 55 મીટરની ઉંચાઇએથી નીચે પટકાય છે. આ સ્થળની આસપાસ અંજુન સાદડ સાગ સાલ સીસમ કેસુડો તેમજ મહુડાના વૃક્ષો મોટી સંખ્યામાં જોવા મળે છે. ધોધનીચે આવેલ સરોવરમાં નાહવામાટે મોટી સંખ્યામાં લોકો અવારનવાર ઉમટી પડે છે. ચોમાસા બાદ લાંબો સમય સુધી આ ધોધનો પ્રવાહ સતત ચાલું રહે છે.
શબરી ધામ:
ગિરામલ ધોધથી 4 કિલોમીટરના અંતરે શબરી ધામ આવેલું છે. એક લોકમાન્યતા મુજબ ભગવાન રામ જ્યારે વનવાસે નિકળ્યા હતા ત્યાર શબરીએ આ સ્થળે એંઠા બોર રામ અને લક્ષ્મણને ખવડાવ્યા હતા. આ જગ્યા ચોતરફ હરીયાળીથી ઢંકાયેલી છે. અહીં રાત્રી રોકાણની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ગિરા ધોધ:
આહવાથી 32 કિલોમીટરના અંતરે પુર્ણા નદી પર આવેલ ધોધ ગિરાધોધ તરીકે જાણીતો છે. ચોમાસા દરમિયાન આ સ્થળે 300 ફુટની ઉંચાઇએથી પાણી ડુંગરો વચ્ચે થઇને પડે છે. આ સ્થેળે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે. ગુજરાત સરકારના ટુરીઝમ વિભાગ દ્વારા અહીં વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવી છે.(સાભાર: ગૌતમ શ્રીમાળી)