ભાવનગરઃ ઉતરાયણ પર્વ નજીક આવતાની સાથે આકાશમાં વિહાર કરતા પક્ષીઓ દોરી ભરાઇ જવાના કારણે મોતને ભેટતા હોય છે. કેટલાક પક્ષીઓને ઇજાઓ પહોંચે છે. ત્યારે આ પક્ષીઓને બચાવવા ભાવનગરના પક્ષીપ્રેમીઓએ માંગ કરી છે.
પક્ષીપ્રેમીઓની શું છે માંગ ?
ભાવનગરના દરિયાકાંઠા અને તળાવોમાં ખોરાક મળી રહેતા હોવાથી અહીં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ અહી જોવા મળી રહ્યા છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ યાયાવાર પેનટેસ્ટ્રોક જેવા પક્ષીઓ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી મહેમાન બનતા હોય છે.
આ પક્ષીઓ આકાશમાં વિહાર કરતા સમયે ઉતરાયણના દિવસોમાં સૌથી વધુ ઘાયલ થાય છે. 200થી વધુ પક્ષીઓ મોતને ભેટતા સરકાર અને જંગલખાતા દ્વારા કોઇ પગલા ન લેવાતા પક્ષીપ્રેમીઓ આગળ આવ્યા છે. અને પક્ષીઓને મોતના મુખમાંથી બચાવવાની માંગ કરી રહ્યા છે.
પીલગાર્ડન અને મોતીબાગ જેવા વિસ્તારોમાં પક્ષીઓ વિહાર કરતા નજરે પડે છે. આ વિસ્તારમાં 400થી વધુ પક્ષીઓના માળા છે. જેથી પક્ષીઓની અવરજ જવર રહેવાથી પક્ષીવિદોએ જણાવ્યું હતું કે અહી સાંજના સમયે લોકોએ પતંગ ચગાવવાથી દૂર રહેવું જોઇએ.
પક્ષીઓની સલામતી લોકોના હાથમાં છે. ત્યારે પતંગ રસિકો ભલે તેમનો શોખ પૂરો કરે પરંતુ સાથોસાથ મહામૂલી જાતિના ગણાતા પક્ષીઓની સંભાળ રાખે તે પણ જરૂરી છે.