જામનગર: નોટબંધી અને ત્યારબાદ GST એ ઉદ્યોગ જગતને માઠી અસર પહોંચાડી છે. એક દેશ એક ટેકસ લાગુ તો થયો. પરંતુ ત્યાર બાદ જે સમસ્યાઓ સર્જાઈ તેની ઘણાં બધા રોજગાર-ધંધા પર પ્રતિકુળ અસર થઈ છે ત્યારે ગુજરાતના જામનગરના બ્રાસ ઉદ્યોગને પણ મરણતોલ ફટકો પડયો હોવાનું ધ્યાને આવ્યુ છે.
વિશ્વના કોઈ પણ ખૂણામાં જોવા મળતી બ્રાસની ચીજ વસ્તુઓ પૈકીની મોટા ભાગની વસ્તુઓ જામનગરમાં જ બનેલી હોય છે. ત્યારે તેના વેચાણ પર ૨૮% GST અને કાચા માલ એટલે કે પીતળના ભંગારની ખરીદી પર પણ ૧૮% GST લાદી દેવાતા કેટલાય પરિવારોની રોજી પર ખરાબ અસર પડી છે.
ઉલ્લેખનીય છે કે જામનગરનો બ્રાસ ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે.જોકે તેના પર પણ GST નામનું ગ્રહણ લાગ્યું છે. GST ના અમલીકરણ બાદ બ્રાસ વ્યવસાયને પ્રતિકુળ અસર પડી છે. GST પ્રણાલીને બ્રાસ ઉદ્યોગકારો અને સંગઠને વધાવી છે પરંતુ તેની અમલવારીની આંટાઘુંટી અને અત્યંત જટીલ પ્રક્રિયાએ આ ઉદ્યોગને મરણતોલ ફટકો આપ્યો છે. સરકાર આગામી સમયમાં આ અંગે કોઇ નિર્ણય લે તેવી માગ બ્રાસ ઉદ્યોગ સાથે સંકડાયેલા લોકોએ કરી હતી.