ગુજરાતીઓ સૈન્યમાં જોડાઈ શહીદ થાય તેવા કિસ્સા હાલ સતત બની રહ્યા છે જોકે એક સમય એવો પણ હતો કે ગુજરાતીઓને એવું મહેણું મારવામાં આવતું હતું કે ગુજરાતીઓ વેપાર ધંધા માટે જ બન્યા છે યુદ્ધમાં લડવા માટે નહીં જોકે સુરત સાથે જોડાયેલો ઈતિહાસ એવું કહે છે કે આજથી 100 વર્ષ પહેલા થયેલા વર્ષ 1914 થી 1918 વચ્ચે થયેલા વિશ્વ યુદ્ધમાં સુરતના સચિન સ્ટેટના બહાદુર સૈનિકો શહીદ થયા હતાં.
જેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે શતાબ્દી મહોત્સવનું આયોજન 30મી જાન્યુઆરીના રોજ ડુમસ ખાતે કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતના ઘણા રજવાડાના સૈનિકો અંગ્રેજો સાથે રહી લડાઈ લડ્યા હતાં. આ યુદ્ધમાં સુરતના સચિન સ્ટેટના સૈનિકો પણ જોડાયા હતાં. આ તમામ લોકો ઉચ્ચકોટીના સાગરખેડુ હતાં જે લોકો સૈન્યની ટુકડીઓને દરિયા કે પાણી માર્ગે મહત્વની જગ્યા સુધી પહોંચાડવામાં મદદ કરતાં હતા.
મસોપોટેમમિયાના યુદ્ધમાં સુરતના ટંડેલો તથા ખલાસીઓની મદદથી મસોપોટેમમિયાની નદી યુફ્રેટીસ અને તૈગ્રીસના માર્ગે આગળ વધ્યા હતાં આ યુદ્ધમાં અનેક બ્રિટિશરોની સાથે ભારતીય સૈનિકો શહીદ થયા હતાં. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર 1914 થી 1918 દરમિયાન જે સૈનિકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો તેવા 34 જવાનો યદ્ધ દરમિયાન અથવા તો ત્યાર બાદ બિમારી કે ઈજાના કારણે શહીદ થયા હતાં.
આ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રધાંજલિ આપવા માટે મુંબઈ સ્ટેટના ગવર્નર સર વેસ્લી વિલ્સને 30 જાન્યુઆરી 1928ના રોજ સુરતના ડુમસ વિસ્તારમાં સ્મારકનું અનાવરણ કર્યું હતું જેમાં યુદ્ધ સમયે જે વહાણનો ઉપયોગ થયો હતો તેનું લંગર પણ મુકવામાં આવ્યું હતું. હવે જ્યારે આ ઘટનાને 100 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે તમામ ગ્રામજનો પોતાના પૂર્વજોને યાદ કરવા જઈ રહ્યા છે. લોકોની અપીલ પણ છે કે ડુમસને ફક્ત ફરવા લાયક સ્થળ ન ગણવામાં આવે અને સરકાર પણ અહીં શહીદો માટે કઈ યોગ્ય સ્મારક બનાવે.