જામનગરઃ જામનગરમાં એક શિક્ષિકાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જયાં કન્યાશાળામાં નોકરી કરતી શિક્ષિકાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસ અને પરિવારના નામે લખેલી બે સુસાઇડ નોટમાં આપઘાત પાછળ કોઇ કારણ સ્પષ્ટ દર્શાવ્યું નથી. દોઢ વર્ષ પૂર્વે થયેલ છૂટાછેડાના પગલે આ પગલું ભર્યુ છે કે અન્ય કોઇ કારણે હજુ સુધી સ્પષ્ટ ન થતા પોલીસે તપાસે શરૂ કરી છે.
"માં મને માફ કરી દેજે...મેં ઘણી કોશીસ કરી જીવવાની...તમને મદદરૂપ થવાની...પણ હું મારા કિસ્મતથી હારી ગઈ છું...રીબાઈ રીબાઈને નથી જીવી શકતી...કદાચ આટલું જ જીવન મારા નસીબમાં લખ્યું હશે...મારી સહન શકિત પૂરી થઇ ગઈ છે..." આ અંતિમ શબ્દો છે જીવન ટુંકાવનાર શિક્ષિકા તૃપ્તિબેન ડાંગરના. ઉપલેટાની વતની હતા. ખોડીયાર કોલોની વિસ્તારમાં ભાડાના મકાનમાં રહી જેકુરબેન કન્યા વિદ્યાલયમાં નોકરી કરતા હતા.
દોઢ વર્ષ અગાઉ તૃપ્તિબેનના છુટાછેડા થયા હતા. તૃપ્તિબેન બે દિવસથી શાળામાં જતા નહતા. અને મોબાઇલનો રીપ્લાય થતા શાળાના સ્ટાફે તૃપ્તિબેનના ઘરની તપાસ કરતા આ બનાવ સામે આવ્યો હતો.
અંદરથી દરવાજો ખોલતા પંખે લટકતી યુવતીનો કોહવાયેલો અને દુર્ગંધયુક્ત મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે માતા-પિતા સહિત આજુબાજુના નિવેદનો લઇ સ્પષ્ટ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. જોકે સંસાર વિચ્છેદ અને પરીવારની નિકટતા તેમજ એકલતાનો ડંખ તેણીને અંતિમ પગલા તરફ દોરી ગયો હોય તેવુ પ્રાથમિક અનુમાન લગાવી તપાસ શરૂ કરી છે.