ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા પછી ભારતીય જનતા પાર્ટી (BJP) માટે ફરી એક અગ્નિપરીક્ષા યોજવા જઇ રહી છે. આજે રાજ્યની 75 મહાનગરપાલિકા 2 જિલ્લા પંચાયત 17 તાલુકા પંચાયત અને 1423 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપ પોતાની બહુમતી જાળવી રાખે છે કે કોંગ્રેસ ફરીથી ભાજપને હંફાવશે તે જોવાનું રહ્યુ.
રાજ્યની 75 નગરપાલિકા માટે ચૂંટણી યોજાશે. જેમાં કુલ 529 વોર્ડની 2116 બેઠકો માટે મતદાન થશે જો કે 2116 બેઠકો પૈકી 52 બેઠકો બિનહરીફ થઈ છે જેમાં જાફરાબાદ અને રાપર ન.પા.ની બેઠકો સમાવેશ થાય છે. જાફરાબાદના 7 વોર્ડની તમામ 28 બેઠકો બિનહરીફ થઈ છે એટલેકે સમરસ જાહેર થઈ છે તો રાપરની 28 બેઠકમાંથી 12 બેઠકો બિનહરિફ થઈ છે.
આ સાથે જ અમદાવાદની બાવળા ધંધુકા સાણંદ અમરેલીની જાફરાબાદ રાજુલા ચલાલા લાઠી આણંદની કરમસદ વલ્લભવિદ્યા નગર આંકલાવ બોરીયાવી ઓડ. કચ્છની ભચાઉ રાપર ખેડાની ચકલાસી મહેમદાવાદ ડાકોર ખેડા મહુધા ગાંધીનગરની માણસા જામનગરની ધ્રોલ જામજોધપુર કાલાવડ ગીર સોમનાથની કોડીનાર જુનાગઢની માંગરોળ માણાવદર બાંટવા ચોરવાડ અને વિસાવદર જેવી મહત્વપૂર્ણ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. આ 75 નગરપાલિકાઓમાંથી 59 પર ભાજપનું પ્રભુત્વ છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંગમાં કોણ બાજી મારે છે તે તો 19 ફેબ્રુઆરીએ જ ખબર પડશે.