મુંબઇ : ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે ચાલી રહેલા લાંબી રાજનીતિક ખેંચતાણ હવે કોઇ પરિણામો સુધી પહોંચી શકે છે. શિવસેના સાંસદ સંજય રાઉતે સ્પષ્ટ રીતે તેની જાહેરાત કરી દીધી છે. સોમવારે શિવસેના સાંસદ સંજય રાઉતે એક પછી એક ઘણા ટ્વિટ કર્યા હતા. પોતાનાં ટ્વિટમાં તેમણે ભાજપનાં મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ તેમણે ભાજપ સાથેનું ગઠબંધન પણ ખતમ કરવાની ધમકી આપી દીધી હતી. સંજય રાઉતે સ્પષ્ટ રીતે કહ્યું કે પાર્ટી આ દિશામાં જલ્દી અંતિમ નિર્ણય લેવાની છે.
સંજય રાઉતનાં અનુસાર માતોશ્રી પર સોમવારે પાર્ટીની મહત્વપુર્ણ બેઠક થઇ. જનતાનાં મનમાં પેટ્રોલ - ડિઝલનાં ભાવો મુદ્દે અને મોંઘવારી મુદ્દે ગુસ્સો છે. અમને લાગી રહ્યું છે કે અમે આ પાપનાં ભાગીદાર નથી બનવા માંગતા. તે અગાઉ સંજય રાઉતે પોતાનાં ટ્વિટમાં લખ્યું કે ઉદ્ધવ ઠાકરે સરકારથી ખુશ નથી. શિવસેના પેટ્રોલનાં ભાવોમાં થઇ રહેલા વધારોનો હિસ્સો નથી બનવા માંગતા. ઉદ્ધવ ઠાકરે આ દિશામાં ટુંકમાં જ કોઇ નિર્ણય લેશે.
ફંડ અને અન્ય કેટલાક મુદ્દાઓ પર ચર્ચા માટે શિવસેના સાંસદો અને ધારાસભ્યોની બેઠક બોલાવાઇ હતી. સુત્રો અનુસાર બેઠકમાં ઘણા ધારાસભ્યોએ શિવસેના પ્રમુખ ઠાકરેને હાલમાં પેટ્રોલનાં મુદ્દે અને ગઠબંધન મુદ્દે ચર્ચા કરી હતી. સતત વધી રહેલા પેટ્રોલ ડિઝલનાં ભાવ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ ભાજપ સાથેનું ગઠબંધન તોડવાની વાત સામે આવી છે.