કઠલાલઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હવે નવી ઈનીંગ શરૂ કરવા જઈ રહ્યાં છે. ઈતિહાસ પંદર વર્ષે તેની ઘટનાઓને દોહરાવી રહ્યો છે. એક સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને હરાવવા શંકરસિંહ ફાગવેલથી નીકળ્યા અને હવે શંકરસિંહ ભાથીજીના મંદિરે માથુ ટેકવી રહ્યાં છે.
ફાગવેલ એક ગામ છે. જ્યાં ગુજરાતના રાજકારણની ધરી ફરી રહી છે. ફાગવેલ ગુજરાતના મોટા નેતાઓને આકર્ષીત કરી રહ્યું છે. 2001માં મુખ્યમંત્રી બન્યા બાદ ગોધરાકાંડ અને ત્યારબાદની ગૌરવ યાત્રા નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય ફલક અને પછી આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવાના હતા. હવે એ પણ ઈતિહાસ છે. 2002ના સપ્ટેમ્બર મહિનામાં જ્યારે ચોમાસુ ઢળાવ પર હતું અને ચૂંટણીની ગરમીનો પારો ઉપર ચડી રહ્યો હતો.
મોદીએ ગૌરવયાત્રાની શરૂઆત કરવાનું સ્થળ નક્કી કર્યું ફાગવેલ. તો ભાજપમાં ધોખો કરી ચુકેલા અને રાજપાના જન્મદાતાથી કોંગ્રેસની યાત્રા શરૂ કરી ચુકેલા શંકરસિંહે પણ ફાગવેલમાં ધ્વજારોહણ અને ઉપવાસનો કાર્યક્રમ આદરી દીધો. કોંગ્રેસે ગૌરવ યાત્રાનો જેટલો વિરોધ કર્યો તેટલી જ ઉત્સુકતા લોકોની ગૌરવયાત્રા વિશે વધતી ગઈ. 2002ની 8મી સપ્ટેમ્બરે ફાગવેલ હિલોળે ચડયું અને મોદીની ગૌરવયાત્રાનો પ્રારંભ થયો.