ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને આગ્રહ કર્યો છે કે ભારતના દરેક આંતરરાષ્ટ્રીય પદક વિજેતાઓનો કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય યોજના (સીજીએચએસ)માં સમાવેશ કરવો જોઇએ. સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દા દરમિયાન ખેલાડીઓની મુશ્કેલી પર વાત કરતાં તેંડુલકરે પોતાના પત્રમાં હોકી ઓલિમ્પિક સ્વર્ણ પદક વિજેતા મોહમ્મદ શાહિદના અંતિમ દિવસોનું ઉદાહરણ પણ આપ્યું હતું.
તેંડુલકરે 24 ઓક્ટોબરના PM મોદીને લેટર લખ્યો કે ''હું સંબંધિત ખેલાડીના રૂપમાં પોતાના દેશના દરેક ખેલાડીઓ તરફથી તમને વિનંતી કરૂં છું કે તમે હસ્તક્ષેપ કરીને આંતરરાષ્ટ્રીય સ્તર પર પદક જીતનાર દરેક ખેલાડીઓને સીજીએચએસ સુવિધાઓ મેળવનાર ખેલાડીઓની પસંદગી યાદીમાં સમાવેશ કરો.''
સીજીએચએસ સુવિધાઓનો ફાયદો કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળે છે. જે આ સેવા સાથે જોડાયેલા મેડિકલ કેન્દ્ર પર સારવાર કરાવી શકે છે. તેંડુલકરે વડાપ્રધાન મોદીને સૂચન કર્યું કે તેઓ આ મુદ્દાને પહેલા રમત મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય બન્ને સામે ઉઠાવી ચૂક્યા છે. તેંડુલકરે એ પણ લખ્યું કે ''સ્વાસ્થ્ય મંત્રાલયે આ વિચારનું સમર્થન કર્યું છે પરંતુ 14 ડિસેમ્બરે પોતાના જવાબમાં સીજીએચએસ યોજના હેઠળ વિસ્તૃત રીતે ખેલાડીઓ પર વિચાર કરવામાં અસમર્થ જણાવી છે. હું તેમની સ્થિતિ સમજી શકું છું.''
સચિન તેંડુલકરે પ્રધાનમંત્રી ને ‘પાયલટ/પરીક્ષણ’ યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય પદક વિજેતાઓ (સરકારી કર્મચારી ન હોય તેવા)ના નામ પર વિચાર કરવાનું કહેવામાં આવ્યું છે. જેના ફાયદાઓ વિશે ખેલ મંત્રાલય અંદાજો લગાવી શકે છે. તેંડુલકરે લખ્યું કે ’એકવાર અંદાજો આવી જાય પછી ક્રમશઃ ખેલાડીઓના એક નિશ્ચીત વર્ગને યોજનાનો લાભ આપી શકાય છે.’ તેંડુલકરે દિવગંત શાહિદનું ઉદાહરણ આપ્યું હતું. જેને તેના અંતિમ દિવસોમાં જ મદદ મળી હતી. યકૃતની બીમારીના કારણે શાહિદનું નિધન થયું હતું.