વાત છે બોટાદ પાસેના પાળિયાદની. પાળિયાદની પાસે રોહિશાળા નામનું નાનું અમથું ગામ છે. જ્યાં મા ખોડિયાર હાજરાહજૂર બેઠાં છે. આ જ તો તેમનું ઉદ્ભવસ્થાન છે. આજથી લગભગ ૧૨૩૭ વર્ષ પહેલાની છે. મહા સુદ આઠમના રોજ ખોડિયાર માનો પ્રાગટ્ય દિવસ છે. આ ગામમાં એક મામડિયો ચારણ રહેતો હતો. તેણે ખૂબ તપ કર્યું તો દેવાધિદેવ મહાદેવે તેને આઠ સંતાન અાપ્યાં તેનું નિઃસંતાનપણું દૂર કર્યું.
ભાવનગર પાસેનાં વલ્લભીનગરમાં મૈત્રેય વંશ ચાલતો હતો. તે વખતના રાજા શિલાદિત્ય સંગીત વિદ્યા વગેરેના ઉપાસક હતા. તેમના દરબારમાં ઘણા ગઢવી ચારણ વગેરે હતા. તે દરબારમાં આ બધાનું માન બહુ જળવાતું. મામડિયો પશુ પાલન કરતો હતો. તે ખૂબ સદ્ગુણી તથા નેક હતો. તે શિવ ઉપાસક હતો. આથી રાજાએ મામડિયાને દરબારમાં મોટું માન આપ્યું. તે રાજાના સાચા સલાહકાર પણ હતા.
આ માન સન્માન જોઈ મામડિયા ઉપર બળનારાએ રાજાને ઝેર ભરતાં કહ્યું કે મામડિયો નિઃસંતાન છે. તેનું મોં જોવું પણ પાપ છે. આથી રાજાએ તેને ધીમે ધીમે પડતો મૂક્યો.
મામડિયો સમજી ગયો કે હું નિઃસંતાન છું તેથી તે હતાશ થઈ ઘેર આવ્યા. પત્ની દેવળને કહ્યું કે દરબારમાં આજે આવો બનાવ બન્યો. આ કારણે બંનેને મનમાં લાગી આવતાં તેમણે શિવ ઉપાસના શરૂ કરી. તેમણે આઠ દિવસ ખાધા પીધા વગર ભયંકર તપ કર્યું. શિવે પ્રસન્ન થઈ આઠ સંતાન આપ્યાં. સાત દીકરી અને એક દીકરો.
સાત દીકરીઓ જોગમાયા જ હતી. તેમાં સૌથી નાની ખોડલ તો જાણે જગદંબા સ્વરૂપ હતી. આ સાત બહેનોમાં આવડ જોગડ તોગડ બીજબા હોલબા સાંસાઈ જાનબા (ખોડિયાર) તથા દીકરો મેરખિયો.
એક વખત મેરડિયાને સાપ કરડ્યો. ખોડિયારે પાતાળ લોકમાં જઈ અમર કૂંપો લાવી ભાઈને બચાવ્યો. પાતાળમાં જવા સમુદ્રમાં ઝંપલાવ્યું તે વખતે એક મગરે તેમને મદદ કરી. પાછા આવતાં મા ખોડિયારને પથ્થર વાગ્યો. તેથી તે લંગડાં ચાલવાં લાગ્યાં. આ જોઈ બીજી બહેનોને તેનું નામ વહાલથી ખોડિયાર પાડ્યું.
મા ખોડલે ઘણા ભક્તોના દુઃખી માણસોનાં દુઃખ દૂર કર્યાં. આ બધા ચમત્કાર જોઈ ભાવનગરના નરેશ માને પોતાના મહેલે તેડી જવા આવ્યા. માએ તેની વિનંતી માનતાં કહ્યું કે હે રાજન હું તારા મહેલે આવું પણ તું પાછું વળીને ન જોતો. નહીંતર હું ત્યાં જ રોકાઈ જઈશ.
રાજા આગળ ચાલ્યો. મા પાછળ છમ છમ કરતાં ચાલ્યાં. અચાનક માનાં ઝાંઝર રણકતાં બંધ થયા. રાજા શંકાશીલ થયો. તેણે પાછું વળી જોતાં મા ત્યાં જ સ્થિર થઈ ગયાં.
મા સ્થિર થયાં તે સ્થાન આજે રાજપરા નામે ઓળખાય છે. અહીં ખૂબ મોટું મંદિર બન્યું છે. દરરોજ અનેક ભક્તો અહીં આવી માના ખોળે અરજ કરે છે. માના આશીર્વાદ મેળવી પોતાનાં દુઃખ દૂર કરે છે. ભક્તો લાપસી તથા નારિયેળ ચડાવે છે. માએ અનેક ભક્તોનાં દુઃખ દૂર કર્યાં છે. એક વખત રાજપર જાવ તમારાં તમામ દુઃખ આવશ્ય દૂર થશે.