રાજકોટની લક્ષ્મીનગર સોસાયટીમાંથી હ્રદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સોસાયટીમાં રહેતા પરેશ સોરઠિયાએ પહેલા પોતાના પાંચ વર્ષના પુત્ર હેંમાગની ગળે ટુંપો આપી હત્યા કરી બાદમાં પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બન્ને લોકોના મૃતદેહ તેમના નિવાસસ્થાનેથી મળી આવ્યા છે. તો માલવીયાનગર પોલીસે આ હત્યા અને આપઘાતના મામલે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે પોલીસને જાણ થઈ કે લક્ષ્મી નગર સોસાયટીમાં 2 મૃતદેહ મળી આવ્યા છે ત્યારે તાબડતોડ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પિતા પરેશ સોરઠિયાએ પહેલા પુત્ર હેંમાગની હત્યા કરી અને બાદમાં પોતે પણ આપઘાત કરી લીધો પરંતુ પોલીસને ઘટનાસ્થળે કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. તેથી પોલીસે આ સમગ્ર મામલે ઉચ્ચ તપાસ આરંભી છે. બીજી તરફ જાણવા મળ્યું છે કે મૃતક પરેશ સોરઠિયાની શહેરના ભુપેન્દ્ર રોડ પર ઈલેકટ્રીક્સની દુકાન આવેલ છે અને આ પરિવાર આર્થિક રીતે સુખી સંપન્ન છે. તેથી પાડોશી પણ કલ્પના નથી કરી શક્તા કે આવુ કેમ બન્યુ? તો પરેશભાઈની પત્નીએ થોડા સમય પહેલા જ એક બાળકને જન્મ આપ્યો છે. ત્યારે બાળકે જન્મ લેતા પહેલા જ પોતાના પિતા અને મોટા ભાઈને ગુમાવી દીધા છે.