રાજ્યમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 2થી 12 ઈંચ સુધીનો વરસાદ વરસી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ થઇ છે. 24 કલાકમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના ટંકારામાં 3 કલાકમાં 12 ઈંચ સહિત કુલ 14 ઈંચ વરસાદ નોંધાયો છે..ભારે વરસાદને કારણે ટંકારા મોરબી સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. વરસાદને કારણે રાજ્યમાં 4 મોત થયાં છે. ઉપરાંત રાજ્યનાં 17 તાલુકામાં 1 ઈંચથી વધુ 22 તાલુકામાં અડધો ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
રાજકોટ
રાજ્યભરમાં વરસાદે બીજો રાઉન્ડ શરૂ કરી દીધો છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદથી ખુશીનો માહોલ છવાયો છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ મુસીબત બનીને આવ્યો છે. રાજકોટમાં એક જ રાત્રીમાં 16 ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ઠેર ઠેર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. શહેરમાં અત્ર તત્ર સર્વત્ર પાણી ભરાઈ જતા રાજકોટ ઠપ થઈ ગયું છે. અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો બીજી તરફ ચોટીલામાં આભ ફાટ્યું છે. ચોટીલામાં 18 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. માર્ગો પર નદી વહેતી હોય તેમ પાણી વહી રહ્યા છે. તો બીજી તરફ ટંકારામાં પણ 14 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. અહીં 1400 જેટલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 17 ઇંચ વરસાદ ખાબકયો છે. મેઘાની બીજી ઇનિંગ શરૂ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા.જેને લઇને મેયરે તમામ નગર સેવકોને પોતાના વોર્ડમાં પહોંચી જવા આદેશ આપ્યા છે.ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરી હતી. વરસાદને પગલે રાજકોટનો 150 રીંગરોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. અમુક વિસ્તારોમાં 2થી3 ફૂટ પાણી ભરાયા હતા.તો વરસાદને કારણે તંત્ર સાબદુ થઇ ગયું છે. રાજકોટ મનપા દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે.તો વરસાદને કારણે રાજકોટમાં સ્કૂલ કોલેજ બંધનું એલાન અપાયું છે.
રાજકોટ સહિત ઉપરવાસમાં વરસેલા વરસાદથી આજી ડેમ-3 ઓવરફલો્ થયો છે. આજી ડેમ 2 કાંઠે વહેતી થઇ છે. જયારે આજી -3 ડેમની સપાટી 16 ફૂટને વહેતી થઇ છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
0281 2471573 અને 1077 નંબર જાહેર કરાયો
રાજકોટમાં 100 વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
40 નાગરિકોનું સ્થળાંતર કરાયું
જામનગર રોડ ઉપર 3 વૃક્ષો ધરાશાયી
રેલનગર અંડર બ્રિજમાં 35 લોકો ફસાયા
ફાયરબ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન ચાલું
વરસાદને પગલે રાજકોટ આવતી-જતી ટ્રેનો લેટ
રાજકોટ આવતી-જતી ટ્રેનો દોઢથી બે કલાક મોડી
મોરબી
મોરબીના ટંકારામાં બે કલાકમાં 15 ઇંચ વરસાદ થયો હતો. જેથી નિચાણવાળા વિસ્તાર રહેતા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યાં હતાં. ધોધમાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં વીજળી જતી રહી હતી. રાજકોટથી NDRF અને ફાયરની ટીમ રવાના કરવામાં આવી હતી. વરસાદ ચાલુ રહે તો ગામડાઓ ખાલી કરાવવા સુચના આપવામાં આવી છે. મોરબીના મચ્છુ ડેમ-2ના 15 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં હતાં. સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતાં. ટંકારા મામલતદાર ઓફિસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતાં.
ટંકારામાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ત્યારે ફરી એક વાર તોફાની મુડમાં મેઘરાજાએ પોતાનો અસલ મિજાજનો પરચો બતાવ્યો છે. શુક્રવારે માત્ર સાડા પાંચ કલાકમા 14 ઈંચ વરસાદ ખાબકયો હતો. હજુ બે અઠવાડીયા પહેલા દે ધનાધન કરીને 11 ઈંચ ખાબકીને પંથકમા તારાજી સર્જી હતી. અને વરસાદમા ખુવાર થયેલ જનજીવન માંડ થાળે પડતુ હતુ ત્યા ફરી એક વાર તોફાની પવન સાથે 14 ઈંચ જેટલો વરસાદ પડતા લોકોમા ભારે ભયનો માહોલ છવાયો છે. જોકે તંત્રે આગોતરા એલર્ટ થઈને નિચાણવાળા વિસ્તારમા વસતા 120 પરીવારોને અગમચેતી રૂપે સલામત સ્થળે ખસેડીને ભોજનની પણ વ્યવસ્થા કરી હતી.
સુરેન્દ્રનગર
સુરેદ્રનગર જિલ્લામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.. સુરેદ્રનગરના ચોટીલા થાન સાયલા લિંબડીમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તો ધ્રાંગધ્રા મુળી સહિતના પંથકમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો વઢવાણમાં 3.5 ઈંચ સાયલામાં 3 ઈંચ દસાડામાં 2 ઈંચ મુળીમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે થાનમાં 3 ઈંચ લખતરમાં 1.5. ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
સુરેદ્રનગર જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદના કારણે થોરિયાળી ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેના કારણે સાયલા તાલુકામાં આવેલો થોરિયાળી ડેમ ઓવરફ્લૉ થયો છે. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી નાળાઓ છલકાયા છે. તો થોરિયાળી ડેમ ઓવરફ્લો થતાં નદી બે કાંઠે વહી રહી છે.
ભારે વરસાદને પગલે સુરેદ્રનગરની ભોગાવો નદી બે કાંઠે વહેતી થઇ છે. ભોગાવો નદીમાં 3 બાળકો ફસાયા હતા. ધોળીધજા ડેમ ઓવરફલો થતાં સ્થાનિક તંત્રએ હેલિકોપ્ટરની મદદ માંગી હતી અને નાયકા ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણી ધોળીધજા ડેમ થઇ ભોગાવા નદીમાં પાણી આવ્યું જોકે તંત્ર દ્વારા શહેરના બંને બ્રિજ બંધ કરી દેવાયા હતા. બ્રિજ પર અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.અધિકારીઓને સ્ટેન્ડ બાયના આદેશ કરાયા છે.