બનાસકાંઠાઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલગાંધી ગુજરાતમાં ચોથા તબક્કાના ત્રિદિવસીય પ્રવાસે છે. ત્યારે તેમના પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજના બીજા દિવસના પ્રવાસમાં તેઓ પાલનપુર અને ડિસાની મુલાકાત લેશે. સાથે જ તેઓ પાટણની પણ મુલાકાત લેશે.
રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ પ્રવાસથી મતદારોને આકર્ષવા ગુજરાતમાં સભાઓ યોજી રહ્યા છે. આજે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. રાહુલ ગાંધી બનાસકાંઠાના પ્રવાસે છે. જયાં રાહુલ ગાંધી ચૌધરી વાડીમાં ખેડૂતો વેપારીઓ મહિલાઓ સાથે સંવાદ કરશે. દાંતા પાલનપુર ડીસા પાટણમાં રાહુલ ગાંધી જંગીસભા યોજશે. અને બનાસકાંઠામાં આવેલા અલગ અલગ સમાજોના કુળદેવીના મંદિરોમાં જઇ પૂજા અર્ચના કરશે.. અને પાટણમાં રાહુલ ગાંધી રાત્રિ રોકાણ કરશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ઉત્તરગુજરાતનો ચૂંટણીલક્ષી પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેમણે અંબાજીની મુલાકાત લીધી હતી અને શકિતપીઠ એવા માં અંબાજીના મંદિરના દર્શન કર્યા હતા. ભકતો અને કાર્યકરોની ભીડથી અંબાજી મંદિર પરિસરમાં રાહુલગાંધીના આગમનને લઈને ઉત્સાહ અને ઉમંગ છવાઈ ગયો હતો.
રાહુલ ગાંધીએ પૂજા સમાન લઈને માં અંબાના ચરણે શિશ ઝૂકાવ્યું હતું. મંદિરના પૂજારીએ રાહુલ ગાંધીને શક્તિપીઠનો મહિમાં સમજાવ્યો હતો. મંદિરના મહંતે રાહુલ ગાંધીને પરંપરાગત રક્ષા બાંધી હતી. રાહુલ ગાંધી સાથે અંબાજી મંદિરની મુલાકાતમાં કોંગ્રેસના તમામ પ્રથમ હરોળના નેતાઓ જોડાયા હતા.