ગાંધીનગર: આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પાર્ટીઓ દ્વારા અભિયાનો શરૂ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે કોંગ્રેસ દ્વારા નવસર્જન યાત્રા શરૂ કરવામાં આવી છે. ત્યારે આ નવસર્જન યાત્રામાં ભાગ લેવા માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી પહોચ્યા છે. રાહુલ ગાંધી અમદાવાદના એરપોર્ટ પર આવ્યા ત્યારે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ તેમનુ સ્વાગત કર્યુ હતુ. રાહુલ ગાંધીના સ્વાગત માટે કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર પણ એરપોર્ટ પર પહોચ્યા હતા.
રાહુલ ગાંધી આજ થી ત્રણ દિવસ ઉત્તર ગુજરાતનો પ્રવાસ કરશે. આ દરમ્યાન તેઓ ત્રણ યાત્રાધામોની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમ્યાન તેઓ રોડ-શો જાહેર સભા અને લોકો સાથે સંવાદ કરશે અને લોકોના દિલેન જીતવાનો પ્રયાસ કરશે..
રાહુલ ગાંધીએ પોતાના પ્રવાસની શરૂઆત ગાંધીનગરમાં આવેલ સ્વામિનારયણ મંદિર અક્ષરધામથી કરી છે. રાહુલ ગાંધીએ મહંત સ્વામી સાથે દર્શન કર્યા. મંદિરના મહંત સાથે વાર્તાલાપ પણ કર્યા .
જો કે આ પહેલા 2 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા ત્યારે તેમણે પણ પોતાના પ્રવાસની શરૂઆત અક્ષરધામ થી કરી હતી. અક્ષરધામ મંદિર ખાતે સંતો દ્વારા પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ પ્રધાનમંત્રી મોદીએ મયૂર દ્વારનું ઉદ્ઘાટન કર્યું હતું અને ભગવાન નીલકંઠવર્ણીને જળાભિષેક કર્યો હતો. જે બાદ પ્રધાનમંત્રીએ ભગવાન નીલકંઠવર્ણીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પણ મેળવ્યા હતાં. ત્યારે હવે રાહુલ ગાંધીએ પણ પોતાના પ્રવાસની શરૂઆત અક્ષરધામ થી કરી છે. જોકે હવે પાર્ટીઓ દ્વારા સ્વામિનારયણ સમાજના લોકોના મત મેળવવા માટે અક્ષરધામની મુલાકાત લેવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે.