પત્રકારત્વનો અભ્યાસક્રમ ચાલી રહ્યો હતો ત્યારે રાજકોટની હિરાણી કોલેજના પ્રોફેસર કાંતિ ઠેસીયા અને રમેશભાઇ ઘોડાસરા સાહેબે રેડિયો સાથે જોડાયેલ પોતાની યાદો વાગોળી ત્યારે અમારી પેઢીએ(જે વહેલી સવારે ઉઠી પહેલા મોબાઇલ હાથમાં લે છે)રેડિયોના જાજરમાન વૈભવ ને જાણીને ગર્વની અનુભૂતિ થઇ.
આમ જુઓ તો ભારતમાં રેડિયોની શરૂઆત 1923માં થઇ હતી પરંતુ પછી કાંઇક કંપની ખાડામાં ગઇ અને અંતે 1930થી ભારત સરકાર દ્વારા આકાશવાણીની શરૂઆત થઇ.આ ઘટનાને આજે વર્ષોના વાણા વીતી ગયા છે પરંતુ રેડિયોના ચાહકો આજે પણ ગણ્યા-ગાંઠ્યા જેવા મળે છે.યુનેસ્કોએ 13 ફેબ્રુઆરીને વર્લ્ડ રેડિયો તરીકે જાહેર કર્યો છે તે ખરેખર ગૌરવની વાત છે.
છેલ્લા ચાર દાયકાથી એક વિશેષ કર્ણપ્રિય સંગીત સાથે 5.58 મિનિટે અમદાવાદનું આકાશવાણી સ્ટેશન ખુલે અને મોડી રાતે BBC લંડનના સમાચાર દ્વારા તે દિવસનું પ્રસારણ પુર્ણ થતું.
મારા મલકમાં તો જેની ઘરે રેડિયો હોય તેની ધનવાનમાં ગણતરી થતી હતી.ગામને પાદર આવેલ આંબલી કે પીપળાની ઝાડ હેઠે બેસીને રેડિયો સાંભળતા ભાભા વહેલી પરોઢે વાસીદું વાળતી-વાળતી જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા સાંભળતી નારી કે પછી ખેતરે જતી વેળા સાઇકલમાં રડિયો આગળ લટકાવીને જતો માણસ દિવસે-દિવસે મૃત:પ્રાય બની રહ્યો છે.
મને યાદ છે અમે નાના હતા ત્યારે ગ્રામ પંચાયત દ્વારા લાઉડ સ્પીકર મુકવામાં આવેલા જેમાં રેડિયો સંભળાતો ગામડાની સવાર કુકડાનાં મીઠા અવાજ તથા રેડિયોથી થતી એવા અનેક દ્રશ્યો જોયા છે જેમાં લોકો ખભા પર રેડિયો રાખીને સાંભળતા ધૂળિયે મારગ જતાં હોય.
બિનાકા ગીત માલા પ્રભાતિયા અને રેડિયો સિલોન પર આવતી સ્મરણ મંજૂષાની યાદો આજે પણ હેમખેમ છે.અને ખાસ શાણાભાઈ શકરાભાઈ તો ક્યારેય ભૂલ્યા ભૂલાય તેવા નથી.જૂની રંગભૂમિના ગીતો અને ખાસ કરીને રાત્રે 8થી9 આવતો ફરમાઇસ કાર્યક્રમ દ્વારા હૈયે હરખની હેલીઓ ઉભરાતી.ઘણાં એવા ઘર પણ જોયા છે જ્યાં રેડિયોના ચોક્કસ કાર્યક્રમ સાંભળવા માટે લોકો રેડિયો વચ્ચે મુકીને એક મોટું ચક્કર બનાવીને બેઠા હોય.
આ સંસ્મરણો સાંભળતા જ ઘરની અભેરાઇ પર ધૂળના કેટલાય થરો વચ્ચે મરણપથારીએ પડેલા રેડિયો તેના ચાહકો માટે તડપી રહ્યો છે.મોબાઇલ પર સાંભળવા મળતા રેડિયોને કારણે ઓરીજનલ રેડિયો દિવસે-દિવસે ભુલાતો જાય છે.ત્યારે ચાલો એક સંકલ્પ કરીએ આપણે આપણી આગામી પેઢીને એક રેડિયો ભેટ સ્વરૂપે આપીએ અને વારસાનું જતન કરીએ.
કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે.)