દેશમાં મંદીના ઓછાયા હેઠળ આવી રહ્યો તેવો માહોલ ઊભો થયો છે. આર્થિક રીતે દેશ ઉદાસીનતાની ગર્તામાં ધસી રહ્યો છે. આ નિરાશાની લાગણીથી બહાર આવવા લોકોએ સિનેમાનો સહારો લીધો છે એમ જણાઈ રહ્યું છે. દેશની જાણીતી સિનેમાઘરોની કંપની PVRના સૂત્રો અનુસાર 'કબીર સિંહ' મૂવી આવ્યા પછી ઓછા બજેટના અને જાણીતા ન હોય તેવા અભિનેતાઓના મૂવીઝ જોવા પણ વધુ પ્રમાણમાં લોકો આવી રહ્યા છે.
દેશમાં આર્થિક વૃદ્ધિ ૬ વર્ષના તળિયે બેઠી છે. બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. એવા સમયે ભારતીય સિનેમા ઉદ્યોગ ઝડપથી વૃદ્ધિ નોંધાવી રહ્યો છે. PVR મુજબ નાણકીય વર્ષના આ ક્વાટરના આંકડા લોકોને ચોંકાવી શકે છે.
નકારાત્મકતાથી બહાર આવવા લોકો મનોરંજન તરફ વળે છે
તેમના મતે ઇકોનોમિક સ્લોડાઉન સિનેમા બિઝનેસને મદદ કરી રહ્યું છે. લોકો નિરાશા અને નકારાત્મકતાથી બહાર આવવા સિનેમા જોવા વધુ આવી રહ્યા છે. જો તેમની આગાહી સાચી પડી તો સિનેમા ઉદ્યોગ દેશમાં મંદીના સમયે અપવાદરૂપે ઉપસી આવશે. ઉલ્લેખનીય છે કે અત્યારે દેશમાં સસ્તા બિસ્કીટથી માંડીને મોંઘી ગાડીઓની માંગમાં ધરખમ ઘટાડો નોંધાયો છે એવા સમયે સિનેમા ઉદ્યોગનો વિકાસ વિસ્મયકારક છે.
કિંગ ખાન પણ આ જ મત ધરાવે છે
ભારતમાં સિનેમાના કિંગ ખાન શાહરૂખ ખાને પણ ભૂતકાળમાં આ જ દિશામાં જણાવ્યું હતું કે ફિલ્મોને આર્થિક મંદીના ગાળિયાથી સુરક્ષિત હોય છે.
શેરબજારમાં PVRની વૃદ્ધિ
Bloombergના ૨૬માંથી ૧૭ એનાલીસ્ટએ શેરબજારમાં PVRના સ્ટોક ખરીદવાની ભલામણ કરી હતી. PVRના હરીફ Inox Leisure Ltd.માં આવા જ આંકડા સામે આવ્યા છે જે ઓવરઓલ ભારતીય સિનેમા ઉદ્યોગની વૃદ્ધિનો પુરાવો આપે છે. PVRનો શેરબજારમાં Price to Eaningનો આંકડો ૪૩.૩ ગણો છે.
Netflix બની ગયો છે મોટો હરીફ
અહી ઉલ્લેખનીય છે કે Netflix, Amazon Prime, Jio Cinema જેવી સ્ટ્રીમીંગ સર્વિસીસથી લોકો ઘરે બેઠા જ આરામથી મુવીની મજા માણી શકે છે. આ સર્વિસીસ સિનેમા ઘરોને ટક્કર આપી રહ્યા છે ત્યારે PVRએ કેનેડાની D box technologies સાથે ભેગા થઇને થીએટરની ખુરશીઓ મુવીના સીન અને સંગીત સાથે હલે અને ધ્રુજે એવી 5D ટેકનોલોજીનો ઉપયોગ શરુ કર્યો છે જેથી લોકોમાં સિનેમાઘરોનું આકર્ષણ જળવાયેલું રહે.
PVRના અધિકારીએ જણાવ્યું હતું કે સદનસીબે આટલી સ્ટ્રીમીંગ સર્વિસીસ હોવા છતાં લોકોને સિનેમાઘરોમાં આવવું ગમે છે.
ક્રિકેટ વર્લ્ડકપમાં ઘટ્યો હતો સિનેમાઘરોનો બિઝનેસ
PVRના બિઝનેસમાં એપ્રિલથી જૂનના ક્વાટર્સમાં ક્રિકેટ વિશ્વ કપના કારણે ઘટાડો થયો હતો. પરંતુ તેના સમાપન સાથે જ પછીના ક્વાટરમાં લોકોના સિનેમાઘરોમાં આવાની સંખ્યામાં ૨૦% વધારો થયો છે.
સુત્રોએ જણાવ્યું હતું કે ફક્ત સારા કન્ટેન્ટને કારણે જ નહિ પરંતુ આ મંદીના વાતાવરણમાં લોકો ફ્રેશ થવા માટે સિનેમા વધુ જોઈ રહ્યા છે. PVRએ એમ પણ કહ્યું કે તેઓ આ મંદીથી ખુશ છે તેવું ન કહી શકાય પણ તેમનો બિઝનેસ વિકસી રહ્યો હોવાથી તેઓ કોઈ ફરિયાદ કરી શકે તેમ નથી.