નીતીશનું તકવાદી રાજકરણ - વિરોધીઓ સાથે સત્તાની ભાગ બટાઈ
છેલ્લા બે મહિનાથી બિહારમાં રાજકીય પરિસ્થિતિ પર જે ગતિવિધિઓ જોવા મળી રહી છે તેનો અંદાજો દેશની સમગ્ર જનતા સમક્ષ આવી ચૂકયો છે. બિહાર રાજ્યના મુખ્યમંત્રી નીતિશકુમારે લાલુપ્રસાદ યાદવનાં રાષ્ટ્રીય જનતાદળ સાથેનું "મહાગઠબંધન" તોડી નાખ્યું છે અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી ગણતરીના કલાકોમાં ભાજપ સાથે હાથ મિલાવીને પુનઃ મુખ્યમંત્રી પદ સ્વીકારી લીધું છે.
બિહાર મુખ્યમંત્રી નીતીશકુમારનું કહેવું છે કે " તેમને આ પગલું રાજ્યના હિત માટે ભરવું પડ્યું હતું. સૌ કોઈ જાણે છે કે લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ સામે ભ્રષ્ટાચારના કેટલાયે સંગીન આરોપો છે. તેમજ સીબીઆઈનાં દરોડા બાદ તેમની સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદ સંભાળતા તેજસ્વી યાદવ તેમની ગઠબંધન સરકાર માટે બોજ રૂપ બની ગયા હતા. લોકો જાણે છે કે લાલુ યાદવ તેમની સ્ટાઇલ પ્રમાણે નહીં જુકવાનું વલણ દાખવ્યું હતું."
આના પર લાલુ યાદવનું કહેવું છે કે રાજકરણમાં અવાર - નવાર આવા આક્ષેપો થતા રહેતા હોય છે પણ જ્યા સુધી તે સાબિત ન થાય ત્યાં સુધી કોઈને ગુનેગાર ના ગણી શકાય. આજે પણ લાલુ પ્રસાદ યાદવની દલીલ છે કે નીતિશ પર પણ કલમ -302 લગાવાઈ હોય તેવા હત્યાના ગંભીર આરોપો સામે આવ્યા છે તો પણ તે સત્તા પર રહી શકે?
નીતિશકુમાર પોતાની છબી સ્વચ્છ રાખવાના આગ્રહમાં મક્કમ હોવાથી તેમને ભ્રષ્ટ સાથીઓ માંથી છુટકારો મેળવવા આ ચાલ ચાલી છે. આ રીતે સ્વચ્છ જાહેરજીવનને આગ્રહ રાખતા તેમને ભારતીયોનો પ્રેમતો જીતી ચુક્યા છે પરંતુ સમગ્ર એપીસોડ અને નીતિશકુમારનો ટ્રેકરેકોર્ડ જોતા વિચાર આવે છે કે બિહારમાં ખેલાઈ રહેલું રાજકરણ એ સિદ્ધાંતની રાજનીતિ છે કે તકવાદનું રાજકરણ ?
હા આ એજ નીતીશકુમાર છે જેમને ચાર વર્ષ પહેલા વડાપ્રધાનના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી પસંદ કરાયા તેની સામે વાંધો પડ્યો હોવાથી તેઓ એનડીએ માંથી છુટા પડીને તે સમયે સત્તા પર જે યુપીએ સરકાર હતી તેની સાથે જોડાઈ ગયા હતા. તે સમયે તેમને નરેન્દ્રમોદી ના "ટ્રેકરેકોર્ડ"થી વાંધો હતો. નીતિશકુમાર ભાજપ સરકારને નહીં પરંતુ હાલના વડાપ્રધાનને કોમવદી ગણતા હતા. આટલુંજ નહીં નરેન્દ્ર મોદી સાથેનું હોર્ડિંગ બિહારમાંજોઈ ને તેમને ગુસ્સો પણ આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પુરરાહત ફડમાંથી નરેન્દ્ર મોદી દ્વારા બિહારની જનતાના હિત માટે મોકલવામા આવેલા રૂપિયા પણ તેવોએ પરત કરી દીધા હતા.મોદી પ્રત્યે આટલુ હળાહળ વૈમનસ્ય ધરાવતા નીતિશકુમાર ચાર જ વર્ષમાં ફરી એનડીએના કેમ્પમાં જોડાઈ ગયા છે.
બિહાર મુખ્યમંત્રી નીતિશકુમારને એક વાત અવશ્ય પુછવી જોઈએ કે ચાર વર્ષમાં તમે નરેન્દ્ર મોદીમાં એવો તો કેવો બદલાવો જોયો કે તેમના "ટ્રેકરેકોર્ડ" એટલે કે ભૂતકાળમાં કઈ રીતે પરિવર્તન આવ્યું જેથી તે આજે તેમના માટે સ્વીકાય નેતા પણ બની ગયા છે? આ સિવાય તેમને માની લેવું જોઈએ કે નરેન્દ્ર મોદી સામેની તેમની સૂગ એક ભૂલ હતી.જો કે આવું થવાનું નથી પરંતુ જનતા સમજી શકે છે કે રાજનેતાઓ માટે સિદ્ધાંતની રાજનીતિ મહત્વની નથી જ્યારે તેમના માટે તકવાદનું રાજકરણ જ પ્રાથમિકતા છે.
આ વાતથી બધા જાણીતા છે કે રાજકરણમાં કાલના મિત્ર આજના દુશમન અને કાલના દુશમનએ આજના મિત્ર વગર સંકોચે બની જાય છે. ઈમાનદારી પ્રમાણિકતા વિચારધારા જેવા શબ્દો માત્ર ને માત્ર પ્રજાને છેતરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ચારે બાજુ ભ્રષ્ટાચાર કોમવાદ સત્તાલોભના ઠેરના ઠેર જોવા મળે છે. 'અભી બોલા અભી ફોક'નો ક્ષોભ કોઈને રહ્યો નથી. સત્તારૂપ સિમેન્ટ જ 'મિત્રતા 'નું અસલ તત્વ ગણવામાં આવે છે.
બિહારમાં ચાલી રહેલી રાજનીતિ ઘટનાક્રમે જે રીતે ગણતરીના કલાકોમાં જ આકાર લીધી છે તે સ્પષ્ટ છે કે નીતીશકુમાર અને ભાજપ સરકાર વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ગુપ્ત કવાયત રચાઈ રહી હતી જેને સ્ક્રીપટ પ્રમાણે અંજામ આપવામાં આવ્યો છે. હવે કેન્દ્રીય કેબિનેટમાં પણ ટૂંક સમયમાં જેડીયુનો સમાવેશ કરવામાં આવે તેવા સમાચારો વાયરલ થી રહયા છે.કોંગ્રેસની પડતી એક નહીં તો બીજા કારણોસર ચાલું જ છે અને 2019ની લોકસભા ચૂંટણી માટેના સોગઠા જે રીતે હાલમાં ગોઠવવા લાગ્યા છે તે સ્થિતિને જોતા જનતાએ સ્વચ્છ જાહેરજીવન નીતિમત્તા પવિત્ર વિચારધારા કે મૂલ્યનિષ્ઠાને બદલે સોદાબાજી સત્તાકાંક્ષા અપવિત્ર નીતિ -રીટી કે પછી અફસોસજનક રાજકીય ઘટનાક્રમોં નિહાળવા માટે તૈયાર રહેવું જોઈએ.
સુધીર એસ. રાવલ રાજકીય વિશ્લેશક અને VTVના કન્સલ્ટિંગ એડિટર પણ છે.