ભાવનગરઃ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું સડક માર્ગનું ભારણ ઘટાડનાર ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું. ઘોઘા-દેહજ રો-રો ફેરી સર્વિસ સહિત પીએમ મોદીએ વિકાસના અનેક કામોનું લોકાર્પણ કર્યું. રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કરીને પીએમ મોદીએ કહ્યું કે આ પ્રોજેક્ટ ભારત અને દક્ષિણ એશિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. હું નાનો હતો ત્યારે ઘોઘા રો-રો ફેરી સર્વિસ વિશે સાંભળતો હતો. અને એ સપનું આજે પૂર્ણ થયું છે.
પીએમ મોદીએ કહ્યું કે અત્યાર સુધી અનેક સરકારો આવી અને ગઈ કોઈએ કંઈ જ કામ ન કર્યું. સારા કામ માત્ર મારા નસીબમાં જ લખાયા છે. આ સાથે પીએમ મોદીએ સર્વોત્તમ ડેરી મુદ્દે પૂર્વ સરકારો પર આક્ષેપો કરતાં કહ્યું કે પહેલાની સરકારોએ ડેરી ન બને તેવા નિયમો બનાવ્યા હતા. જે નિયમો અમારી સરકારે ફેરવી દીધા. પીએમ મોદીએ કટાક્ષ કરતાં કહ્યું કે લંકાની લાડી અને ઘોઘાનો વર એવી કહેવત હતી. હવે જૂના ભવ્ય દિવસોને પાછા લાવવા છે.
પીએમ મોદીએ રો-રો ફેરીથી થતાં લાભ મુદ્દે જણાવતાં કહ્યું કે રો-રો ફેરીથી 7 કલાકની મુસાફરી 1 કલાકમાં પૂર્ણ થશે. જળમાર્ગથી ટ્રાન્સપોર્ટેશન સસ્તુ થશે. સૌરાષ્ટ્રમાંથી દરરોજ 12 હજાર લોકો પ્રવાસ કરે છે. રસ્તા પર દરરોજ 5 હજાર વાહનો દોડે છે. પીએમ મોદીએ કહ્યું આનાથી સમય અને પેટ્રોલ બચશે. જેના કારણે દિલ્લી અને મુંબઈના માર્ગો પર પણ અસર થશે.