સુપ્રીમ કોર્ટ દ્વારા પદ્માવત ફિલ્મને બધા રાજ્યોમાં રિલીઝ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.દેશભરમાં આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે.ત્યારે બનાસકાંઠાના થરામાં પણ પદ્માવત ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો.
મહાકાલ સેના દ્વારા હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવ્યો.મહાકાલ સેના દ્વારા ટાયરો સળગાવીને નેશનલ હાઈવે નંબર 27 પર ચક્કાજામ કરવામાં આવ્યો.આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ સાથે જામનગર અમદાવાદ સુરત ભાવનગર સહિત રાજ્યના કેટલાય સ્થળોએ કરણી સેના દ્વારા સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ પદ્માવતને લઇને ઉગ્ર દેખાવો કર્યા હતા.આ ફિલ્મ આગામી 25 જાન્યુઆરીના રોજ દેશભરના ફિલ્મઘરોમાં રિલીઝ થવાની છે.
આ ફિલ્મના વિરોધને પગલે કેટલીયે સરકારી મિલકતોને પણ નુકસાન કરવામાં આવેલ છે અને રાજપૂત કરણી સેનાએ આ ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરી છે જો કે ભારતની વડી અદાલતે ફિલ્મ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે.જો કે હવે આવનારો સમય જ કહેશે કે આ ફિલ્મને લઇને શું થાય છે.