નવી દિલ્હી: નિર્ભયાના પરિવારજનો હજી પણ ન્યાય માટે આશ લગાવીને બેઠા છે. ગેંગરેપના દોષિત મુકેશે સુપ્રીમના ચૂકાદા સામે રિવ્યૂ પિટિશનની અરજી ફાઇલ કરી છે. જેને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવા જઈ રહી છે.
૧૬ ડિસેમ્બર ૨૦૧૨ની રાત્રે ચાલુ બસમાં પેરામેડિકલની વિદ્યાર્થિની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને બાદમાં સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત થયું હતું. આ મામલે નીચલી અદાલતથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી થયેલી સુનાવણીમાં આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આપને જણાવી દઈએ કે નિર્ભયાકાંડમાં દોષિત ચાર આરોપીઓને સુપ્રીમે 5 મે ના રોજ દોષિત મુકેશ પવન ગુપ્તા અક્ષય ઠાકુર અને વિનય શર્માને ફાંસીની સજા યથાવત રાખી હતી.
નોંધનીય છે કે ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર મૂકેશ ઘટનાની રાતે બસ ચલાવી રહ્યો હતો ત્યારે વિદ્યાર્થિની સાથે આવી ઘટના બની હતી. તેણે પણ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું પરંતુ આ અરજીમાં મૂકેશે જણાવ્યું છે કે તે ઘટનાની રાતે બસમાં હતો જ નહિ. તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. તેની કરૌલીથી ધરપકડ કરવામાં આવી હતી. મૂકેશનું કહેવું છે કે તેને ડ્રાઈવિંગ કરતાં આવડતું નથી.