મુંબઈ: ક્યારેક વધુ કિંમતના કારણે ગ્રાહકોને રડાવનાર ડુંગળી ગઈકાલે તેના ગઢ નાસિકમાં ખેડૂતોને લોહીનાં અાંસુંએ રડાવી ગઈ. માત્ર પાંચ પૈસે પ્રતિ કિલો ડુંગળીનો પ્રસ્તાવ મળતાં ખેડૂતોઅે ડુંગળીનો સમગ્ર જથ્થો ખેતરોમાં ફેંકી દીધો.
નાસિકના નિફાડ અને લાસલગાંવ વિસ્તારો દેશના મોટા હિસ્સામાં ડુંગળીના ઉત્પાદન માટે જાણીતા છે.
નિફાડ તાલુકાના સાઈખેડા નિવાસી સુધાકર દરાડે મંગળવારે જ્યારે ડુંગળી વેચવા માટે શાકભાજી મંડળી પહોંચ્યા તો તેમને પ્રતિ કિલો પાંચ પૈસા એટલે કે પાંચ રૂપિયામાં ક્વિન્ટલ ડુંગળી વેચવાનો પ્રસ્તાવ મુકાયો. મહેનતથી ઉગાડેલી ડુંગળીને અા કિંમતમાં વેચવી તેમને મંજૂર ન હતું. તેઅો ડુંગળી સાથે પોતાના ગામ પરત ફર્યા અને ખેતરમાં જ ડુંગળી ફેંકી દીધી.
ડુંગળીને ખેતરમાં ફેકનાર સુધાકર એક માત્ર ખેડૂત ન હતા. અોછી કિંમત મળવાના કારણે ઘણા ખેડૂતો પોતાના ખેતરોમાં વિશેષ પ્રકારની સાચવણી કરી રહ્યા છે જેથી વધુ કિંમત મળતાં તેને વેચી શકાય.