રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણા જિલ્લામાં ભાજપ ક્રોગેસની સાથે-સાથે હવે NCP પણ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યુ છે. NCP મહેસાણા જિલ્લામાં વિધાનસભાની તમામ બેઠકો ઉપર ચૂંટણી લડવાની અગાઉ જાહેરાત કરી ચૂક્યુ છે.ત્યારે આજથી એનસીપીએ મહેસાણા જિલ્લામાં પોતાના ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ કર્યો છે. બહુચરાજીથી સામાજીક સેવા સાથે એનસીપી દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી વિધાનસભાની ચૂંટણીમાં ઉત્કૃષ્ઠ દેખાવનો પણ દાવો કર્યો છે.
વડાપ્રધાન મોદીનો જિલ્લો હોવાને નાતે મહેસાણા જિલ્લાની ચૂંટણી પરિણામ ઉપર સૌ કોઇની મીટ મંડાયેલી હોય તે સ્વાભાવિક છે. ત્યારે ભાજપ અને ક્રોગેસની સાથે-સાથે મહેસાણા જિલ્લામાં ત્રીજો મોરચો એનસીપીએ પણ સક્રિય ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દેવાયો છે. જો કે એનસીપી દ્વારા લોકોની વચ્ચે જવા થોડી અલગ સ્ટાઇલ અપનાવાઇ છે. મત માગવાની સાથે-સાથે સામાજીક જવાબદારી એવા મિશન તળે આજથી એનસીપી દ્વારા શક્તિપીઠ બહુચરાજીથી મહેસાણા જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરાયો છે. જો કે સીધા લોકો પાસે મત માગવા જવાને બદલે એનસીપીએ સ્વાઇન ફ્લૂનો ઉકાળો અને માસ્કનું વિતરણ કરી આગામી ચૂંટણીમાં એનસીપી સક્રિય રીતે આવી રહી હોવાનો મેસેજ મોકલ્યો છે. બહુચરાજીમાં આજે એનસીપી દ્વારા આયોજિત કરાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
મહેસાણા જિલ્લામાં એનસીપી દ્વારા આગામી ચૂંટણી માટે કાર્યકરોને સક્રિય કરવાની જવાબદારી ઉપ પ્રમુખ જાલમસિંગ સોલંકીને સોપાઇ છે. મૂળ કાલરી ગામના જાલમસિંગ સોલંકી ક્ષત્રિય સમાજમાંથી આવતા હોવાને કારણે અત્યાર સુધી ક્રોગેસ સાથે રહેલો ક્ષત્રિય સમાજના મતનું આ વખતે ધ્રુવીકરણ થવાનો પણ એનસીપી દ્વારા દાવો કરાયો છે.તો બીજી તરફ એનસીપી દ્વારા લોકો વચ્ચે સીધા મત માગવા જવાને બદલે સામાજીક સેવાઓ થકી લોકો વચ્ચે જવાના શરૂ કરેલા અભિગમને પ્રજાએ પણ બિરદાવ્યો છે.મહેસાણા જિલ્લામાં સ્વાઇન ફ્લૂના ૭૧ જેટલા પોજીટીવ કેસ હોવા છતાં હજુ સુધી એક પણ રાજકીય પાર્ટી લોકોની મદદે નથી આવી ત્યારે એનસીપીએ પોતાની સામાજીક જવાબદારી નિભાવી હોવાનો લોકોએ મત વ્યક્ત કર્યો છે..
આમ તો અત્યાર સુધી એનસીપી ક્રોગેસનો ભાગ ગણાતી હતી. પરંતુ આ વખતે ક્રોગેસની સાથે-સાથે એનસીપી પણ સ્વત્રંત રીતે ચૂંટણી લડવા જઇ રહી છે ત્યારે ક્રોગેસના પરંપરાગત મતનું ધ્રુવીકરણ થશે તેમાં કોઇ બે મત નથી.