મુંબઇ: બોલીવુડ કોમેડિયન-અભિનેતા અર્શદ વારસીએ જણાવ્યું હતું કે રાજકુમાર હીરાણી સર મુન્નાભાઇ સિરિઝની ત્રીજી કડી લાવવા કટિબદ્ધ છે. હાલ એની સ્ક્રીપ્ટ પર કામ ચાલી રહ્યું છે. હાલ રાજકુમાર હીરાણી સંજય દત્તની બાયો-ફિલ્મના કામમાં વ્યસ્ત છે. ટોચનો અભિનેતા રણબીર કપૂર આ ફિલ્મમાં સંજય દત્ત તરીકે ચમકી રહ્યો છે.
આ ફિલ્મ પૂરી થયા બાદ હીરાણી મુન્નાભાઇ સિરિઝની ત્રીજી કડી માટે સક્રિય થશે એમ અર્શદે વધુમાં કહ્યું હતું. અત્રે એ પણ યાદ કરવા જેવું છે કે તાજેતરમાં સંજય દત્તે પોતે પણ હીરાણીને પોતાની ડામાડોળ કારકિર્દીને વેગ મળે એવી એકાદી ફિલ્મ બનાવવાની વિનંતી કરી હતી. ૨૦૧૬ના ફેબુ્રઆરીમાં યરવડા જેલમાંથી મુક્ત થયા બાદ સંજય દત્તે કમબેક તરીકે કરેલી ફિલ્મ ભૂમિ તાજેતરમાં રિલિઝ થઇ હતી પરંતુ એને બોક્સ ઑફિસ પર ધાર્યો પ્રતિભાવ મલ્યો નહોતો એટલે સ્વાભાવિક રીતેજ સંજય દત્ત ચિંતામાં પડી ગયો હતો અને એણે પોતાના દોસ્ત ફિલ્મ સર્જક હીરાણીનો સંપર્ક સાધ્યો હતો.
અર્શદે કહ્યું કે થોડા સમય પહેલાં નરગિસ દત્ત ચેરિટી ફાઉન્ડેશનના એક ઇવેન્ટમાં હું હીરાણી સરને મળ્યો હતો અને મેં એમને આ અંગે પૂછ્યું હતું. તેમણે મને કહ્યું કે મુન્નાભાઇ સિરિઝ મારી પણ મનગમતી છે અને હું એની ત્રીજી કડી બનાવવાની યોજના ઘડી રહ્યો છું.