નવસારીઃ થોડા સમય પહેલા જ વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ હતી અને હવે ફરી એકવાર રાજકીય માહોલ જામવાનો છે. કારણ છે રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો મેદાનમાં ઉતરી ગયા છે. પોત પોતાની જીતના દાવા કરી રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લાના વિજલપોરમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ બન્ને પક્ષ પોતાનો માહોલ બનાવવા માટે કામે લાગી ગયા છે.
નવસારી જિલ્લાના વિજલપોર શહેરમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જે માટે મુખ્ય બે પક્ષ ભાજપ અને કોંગ્રેસ મેદાનમાં ઉતરી પડયા છે. વિજલપોરના કેટલાક વોર્ડમાં ભાજપનું તો કેટલાક વોર્ડમાં કોંગ્રેસનું વાતાવરણ છે. પરંતુ આખરી ફેંસલો તો જનતા 17 ફ્રેબુઆરીએ કરશે. તેનો નિર્ણય 19 ફેબ્રુઆરીએ પરિણામ આવશે.
આ બધાની વચ્ચે હવે જનતા વિજલપોરના સત્તાધીશો સામે સવાલ ઉઠાવી રહી છે. જેમાં મુખ્ય મુદ્દા વર્ષોથી ઓવરબ્રિજ મંજૂર થયો હોવા છતાં તેની કામગીરી શરૂ થઈ નથી. તળાવના સમારકામ બાદ પણ તેમાં પાણી ભરવામાં આવ્યું નથી. તો ઘન કચરાના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવ નથી તેવો સ્થાનિકો નગરપાલિકાના સત્તાધીશો સામે આક્ષેપ લગાવી રહ્યા છે.
બીજી તરફ નગરપાલિકાની ચૂંટણીમાં ટિકીટ વાંચ્છુકો ટિકિટ મેળવવા માટે દોડાદોડ કરી રહ્યા છે. પોત પોતાની રીતે લોબીન્ગ કરીને ટિકિટ માટે ધમપછાડા કરી રહ્યા છે. હાલ વિજલપોર પાલિકામાં ભાજપની સત્તા છે તેથી ભાજપ સત્તા ટકાવી રાખવા માટે કમરકસી રહી છે. તો કોંગ્રેસ સત્તા મેળવવા માટે વાયદાઓની વણજાર કરી છે. કોંગ્રેસ ભાજપના શાસનની ક્ષતિઓ શોધી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું તો ભાજપ પોતે કરેલા વિકાસ કામોને આગળી ધરી રહ્યું છે.
વિજલપોરને આમ તો એક લઘુ ભારત કહેવાય છે કારણ કે અહીં મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ સહિતના રાજ્યના લોકો વસે છે. અહીં સત્તા પક્ષ વિકાસના દાવા કરે છે પરંતુ તે વિકાસ માત્ર ચોપડે જ ચડેલો જોવા મળે છે. તો કોંગ્રેસને આશા છે કે વિધાનસભાની ચૂંટણીમાં તેમનું પર્ફોમન્સ સારુ રહ્યું હતું. તેથી નગરપાલિકાની ચૂંટણીમાં પણ તેમને ફાયદો થશે. ત્યારે વિજલપોરની જનતા કોને પોતાના શહેરની સત્તા સોંપે છે તે આગામી 19 ફેબ્રુઆરીએ ખબર પડી જશે. ત્યાં સુધી તમામ લોકોએ રાહી જોવી જ રહી.