ભરૂચ: સાંસદ મનસુખ વસાવાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા સાંસદની સુરક્ષા માટે હથિયારધારી પોલીસકર્મીની ફાળવણી કરવામાં આવી છે. જે બાદ તેઓના સમર્થનમાં આદિવાસીઓ દ્વારા આજરોજ યોજાનાર રેલી અને આવેદનપત્રનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.
ભરૂચના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન મનસુખ વસાવાના રાજપીપળા સ્થિત નિવાસ સ્થાનના લેન્ડ લાઈન ફોન પર જાનથી મારી નાખવાની ધમકી ભર્યા ફોન કોલ્સ મળ્યા હતા. મનસુખ વસાવાએ બિન આદિવાસીઓને આદિવાસી તરીકેના પ્રમાણપત્રો આપવા બાબતે લોકસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો.
જેને લઇ તેઓને ધમકી અપાઈ રહી હોવાના આક્ષેપ થયા હતા. આદિવાસી સમાજના સાંસદને જાનથી મારી નાખવાની ધમકી મળતા આદિવાસી સમાજ એક્ષનમાં આવ્યો હતો. આજે તેઓ દ્વારા સાંસદને સુરક્ષા આપવાની માંગ સાથે રેલી અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમની જાહેરાત કરાઈ હતી.
પરંતુ પોલીસ દ્વારા મનસુખ વાસવાની સુરક્ષા માટે હથિયારધારી પોલીસકર્મીની ફાળવણી કરતા આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવેથી મસ્નુખ વાસવાની સુરક્ષા માટે તેમની સાથે હથિયારધારી પોલીસકર્મી તેનાત રહેશે.