અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબે આજે અમદાવાદની મુલાકાત લેશે. પીએમ મોદી અને શિંઝો આબેના કાર્યક્રમની વાત કરી એ તો બપોરે 2.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું આગમન થશે. ત્યાર બાદ બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ જાપાનના PM શિંઝો આબે અમદાવાદ એરપોર્ટ પર પધારશે.
અમદાવાદ એરપોર્ટ પર શિંઝો આબેનું ભવ્ય સ્વાગત કરાશે. સાંજે પોણા છ વાગ્યાની આસપાસ પીએમ મોદી અને જાપાનના PM શિંઝો આબે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવો આશ્રમની નજીક આવેલા દાંડીપુલની પણ મુલાકાત લેશે. ગાંધી આશ્રમની મુલાકાત બાદ બંને મહાનુભાવો સાંજે 6 કલાકે શહેરની ઐતિહાસિક સીદી સૈયદની જાળીની પણ મુલાકાત લેશે.
સીદી સૈયદની જાળી નિહાળ્યા બાદ સાંજે પોણા સાત કલાકે શિંઝો આબે સાથે પીએમ મોદી ડિનર લેશે. ડિનર કર્યા બાદ બંને મહાનુભાવો વચ્ચે એક ખાસ બેઠક પણ કરવાના છે. રાત્રે આઠથી 9 વાગ્યાની આસપાસ બંને મહાનુભાવો બેઠક કરે તેવી શક્યતા છે. શહેરની હોટલ હયાતમાં શિંઝો આબે રાત્રી રોકાણ કરશે. તો આવતીકાલે એટલે કે 14 સપ્ટેમ્બરે પીએમ મોદી અને શિંઝો આબે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત કરશે.