નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લશ્કર એ તૈયબાના આતંકી નાવીદ જટ્ટના ફરાર થવાના મામલામાં જમ્મૂ અને કશ્મીર સરકાર પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.
તમને જણાવી દઇએ કે 6 ફેબ્રુઆરીએ શ્રીનગરના SMHS હોસ્પિટલમાં શૂટઆઉટ બાદ નાવીદ ફરાર થઇ ગયો હતો. આ હુમલામાં બે પોલીસકર્મીઓના મોત થયા હતા. નાવીદ જટ્ટને પેટમાં દુખાવો થતાં સારવાર માટે પોલીસ સુરક્ષામાં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જમ્મૂ કશ્મીર સરકારને વિસ્તૃત તપાસ બાદ બે અઠવાડિયામાં રિપોર્ટ સોંપવા કહ્યું છે.
આ સાથે જ જમ્મૂ કશ્મીર પોલીસ તરફથી રાજ્યની 15 જેલોની વિસ્તૃત સુરક્ષા સમીક્ષા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સલાહ પર 25 આતંકવાદીઓને કશ્મીર ઘાટીની જેલોમાંથી દેશની અન્ય જેલોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
નાવીદ જટ્ટના ફરાર થવાના મામલામાં તપાસ કેન્દ્ર તરફથી NIAને સોંપવામાં આવી છે. NIA તપાસ કરશે કે નાવીદની જેલ અધિકારીઓ અને ડૉક્ટરો સાથે કોઇ સાઠગાંઠ તો નહોતી. જેનો તે ફાયદો ઉઠાવીને ફરાર થઇ ગયો.